જમાઅતે ઇસ્લામી હિંદ આતંકવાદને એક ગંભીર સમસ્યા અને માનવતા વિરુદ્ધ ભયાનક અપરાધ માને છે, અને દેશ તથા તેના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે તેના સંપૂર્ણ નાશને જરૂરી માને છે. દેશના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામે જે કાર્યવાહી હાથ ધરી છે, સમગ્ર દેશ – ધર્મ અને સમાજની ભિન્નતાઓ વગર – તેમાં તેમનો સાથ આપી રહ્યો છે અને તેમનું સમર્થન કરી રહ્યો છે.
જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે કહ્યું કેઃ “આ અવસરે આ વાત ઉપર પણ ભાર મૂકવા માંગીએ છીએ કે આ નાજુક સમયે દેશના તમામ નાગરિકોએ એકજૂટ થઈને આ પડકારનો સામનો કરવો જોઈએ. દેશની સુરક્ષાના ગંભીર મુદ્દાને કોઈપણ પ્રકારના ભેદભાવ અથવા સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા માટે ઉપયોગમાં લેવો એ રાષ્ટ્રીય હિતમાં નથી. અમે તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનો અને જૂથોને અપીલ કરીએ છીએ કે તેઓ દેશની અખંડિતતા, પારસ્પરિક ભાઇચારા અને સાંપ્રદાયિક સહઅસ્તિત્વને સર્વોપરી જાળવવા માટે પ્રયત્નશીલ રહે અને એકતા અને સહમતીનું પ્રદર્શન કરે.”