વર્તમાન સમયની દોડધામ અને ધમાલિયા જીવનવ્યવસ્થામાં માનવીય માનસ પટલ પર કંડારાતી સાંસારીક સુખ સુવિધાથી ઉપર વટ થઈને મનને શાંતિ પ્રદાન કરવા તેમજ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવના, મનુષ્યમાં આદિકાળથી જોવા મળે છે. ખુદ આપણા દેશમાં આધ્યાત્મિક સુધાર અને માનસિક સુખ પ્રાપ્તિની ઘણા પ્રકારની શિક્ષાઓ ભારતના વિદ્વાનો, મહર્ષિઓ અને મુનીઓએ રજૂ કરેલી છે. યજ્ઞો અને તીર્થોની લાંબી સુચિ છે. જેની ગણના અશક્ય છે. બ્રહ્મ પુરાણ (૨૫: ૭-૮) અનુસાર તીર્થો અને પવિત્ર ધાર્મિક સ્થળોની એટલી મોટી સંખ્યા છે કે તેને સેંકડો વર્ષો સુધી પણ ના ગણી શકાય. આત્માની શાંતિ અને જન્મ-મરણના ચક્રોથી હંમેશાં માટે છુટકારો મેળવવાના અનેક ઉપાયો બતાવ્યા છે. આ તેનું સ્પષ્ટ પ્રમાણ છે કે માનસિક શાંતિથી આગળ વધીને આત્માના વિકાસ અને પ્રભુનું સાનિધ્ય મેળવવાની લાલસા મનુષ્યમાં આદિકાળથી જોવા મળે છે.
‘હિંદુ ધર્મનો ઇતિહાસ’ના પ્રસિદ્ધ લેખક ડા. પાંડુરંગ વામન કાણેના મતાનુસાર હિંદુ ધર્મમાં તીર્થ સ્થળોની શ્રેણીમાં સમયાંતરે નવા તીર્થો પણ જોડવામાં આવ્યા છે તથા તીર્થોમાં સ્થાયી થયેલા અને ખાસ કરીને તીર્થ-પૂરોહિતોએ ધન-લાભની લાલસાએ સંદિગ્ધ આધારોયુક્ત ઘણા તીર્થોનું નિર્માણ કરી દીધું છે અને તેમના પર મહાભારત તેમજ પુરાણોના પ્રસિદ્ધ રચનાકાર વ્યાસનું નામ જાડી દીધું છે. (ભાગ-૩, પૃ. ૧૩૦૬) શ્રીકાણે એ આ પણ લખ્યું છે કે,‘તીર્થો પર લખવા વાળા મોટાભાગના લેખકોએ (રચનાકારોએ) સ્વરૂચિના આધારે પસંદગીની પ્રક્રિયા અપનાવી છે.’ તેમણે લક્ષ્મી ધરની ‘તીર્થ કલ્પતરૂ’ નૃસિંહ પ્રસાદની ‘તીર્થસાર’ નારાયણ ભટ્ટની ‘ત્રિસ્થિલીસેત’નો ઉલ્લેખ કરીને બતાવ્યું છે કે, એક વ્યક્તિ માટે આ નિર્ણય કરવો મુશ્કેલ બની જાય છે કે, કયું તીર્થસ્થળ તેના ઉદ્દેશ્યની પૂર્તિ માટે યોગ્ય, ઉચિત અને ફળદાયી નીવડશે.
ઇસ્લામી દૃષ્ટિકોણ :
ઇસ્લામ ધર્મમાં હજ્જનું વર્ણન આ આવશ્યકતાની યોગ્યરૂપથી પૂર્તિ કરે છે. કેમ કે આમાં તીર્થસ્થળ પણ નક્કી છે તથા આ સંબંધી બધી જ ક્રિયાઓ અને વિધિઓ પણ નિશ્ચિત છે. કહી શકાય કે, હજ્જ, ઇબાદત, સાધના, પ્રેમ ભક્તિ, શ્રદ્ધા, બલિદાન તેમજ ત્યાગ, તપસ્યા અને આધ્યાત્મિક્તાની પરાકાષ્ટા છે. હજ્જ એક એવી ઇબાદત છે જેની તુલના સંસારની કોઇ બીજી પૂજા, અર્ચના, આરાધના, તપ અથવા ઉપાસનાથી કરી શકાય તેમ નથી. હજ્જ એક મહત્ત્વપૂર્ણ તીર્થયાત્રા જ નથી, આમાં એક મહાનદર્શન પણ સમાયેલ છે. આપણે આના પર જેટલું ચિંતન કરીશું તેમ તેના વિવિધ ભાગો એક એક કરીને સામે આવશે.
હજ્જની પરિભાષા :
હજ્જનો શાબ્દિક અર્થ છે ઝિયારતની નિયત અથવા ઇરાદો કરવો, કોઈ જગ્યાએ અથવા કોઈને મળવા માટે નીકળવું. ઇસ્લામી પરિભાષા પ્રમાણે હજ્જ એટલે મક્કાસ્થિત અલ્લાહના પવિત્ર ઘર કા’બાની ઝિયારત માટે નીકળવું, તેની પરિક્રમા કરવા તેમજ તેના સંબંધિત સ્થળોના દર્શન કરવા અને તેનાથી જાડાયેલા કર્મો કરવાનું નામ હજ્જ છે. જેવી રીતે કે, અહેરામ બાંધવો, કુર્બાની કરવી, સફા-મરવહની દૌડ, મિના, મુજદલફા, અરાફાતમાં રોકાવવું, શૈતાનને કાંકરીઓ મારવી, માથાનું મુંડન કરવું વગેરે..
ઉમરહ-કા’બાનો તવાફ (પરિક્રમા કરવી) સફા-મરવહની દૌડ, માથાનું મુંડન કરવું. હજ્જ અને ઉમરાહમાં એક ફર્ક આ છે કે પહેલું ફર્ઝ છે અને બીજું સુન્નત. બીજા શબ્દોમાં કહીએ તો પહેલું અનિવાર્ય છે, બીજું સ્વૈચ્છિક.
હજ્જનું મહત્ત્વ
ઇસ્લામના પાંચ મુખ્ય સ્તંભોમાં એક મહ¥વપૂર્ણ સ્તંભ હજ્જ છે. જેમ કે, બુખારી અને મુસ્લિમની હદીસોથી સ્પષ્ટ છે કે, “ઇસ્લામનો આધાર પાંચ ચીજા પર છે. ૧) એ વાતની સાક્ષી આપવી કે અલ્લાહના સિવાય કોઈ બીજો ઉપાસ્ય નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ (ઈશદૂત) છે. ૨) નમાઝ, ૩) ઝકાત, ૪) રમઝાનના રોઝા, ૫) હજ્જ.”
કુઆર્ન મજીદમાં સ્પષ્ટ રૂપે હજ્જ એ બધા જ મુસલમાનો માટે ફર્ઝ (અનિવાર્ય) ઠેરવવામાં આવ્યું છે જે ત્યાં જવાનું સામ્થર્ય ધરાવતા હોય. ‘અલ્લાહની પ્રસન્નતા માટે જ્યારે હજ્જ અને ઉમરાહનો ઇરાદો કરો, તો તેને પૂરો કરો’ (૨:૧૯૬), ‘લોકો પર અલ્લાહનો એ હક્ક છે કે જે આ ઘર સુધી પહોંચવાનું સામર્થ્ય ધરાવતો હોય તે આ ઘરની હજ્જ કરે’ (૩:૯૭), ‘લોકોને હજ્જ માટે જાહેર ઘોષણા કરી દો કે તેઓ તમારા પાસે દરેક દૂર-સુદૂરના સ્થળોએથી પગપાળા અને ઊંટો પર સવાર થઈને આવે.’ (૨૨:૨૭)
અર્થાત્, આ ઈબાદત એવી નથી કે, જેનું મન ચાહે કરે અથવા ન કરે. પરંતુ હદીસથી ખબર પડે છે કે, સામ્થર્ય હોવા છતાં જે વ્યક્તિ હજ્જ ના કરે તે અલ્લાહના પ્રકોપનો ભાગીદાર બને છે. જે વ્યક્તિ કોઈ સખ્ત જરૂરત અથવા એવી બીમારી જેનાથી મુસાફરી સંભવ ના હોય અથવા વિઝા વગેરેની અડચણ વગર પણ હજ્જ ના કરે તો તે ભલે ઈસાઇ થઈને મરે અથવા યહૂદી, આનાથી આ દીનને કોઈ લેવા-દેવા રહેતી નથી.
હજ્જની વિશેષતાઓ :
હજ્જ મનનું શુદ્ધિકરણ કરે છે, તે પાપનિવારક છે અને આત્માના વિકાસનું ઉત્તમ સાધન છે. હદીસમાં છે કે : “જે આ (પવિત્ર) ઘરનો ઇરાદો કરે અને (ત્યાં પહોંચીને) બેશર્મી અને બેહયાઈના કામ ના કરે, ગુનાહોથી દૂર રહે તો તે એવા નિર્દોષ થઈ જાય છે કે, જેવી રીતે નવજાત શીશું.” (બુખારી, મુસ્લિમ) એક અન્ય હદીસમાં છે કે “વિધિસર સાચા મનથી કરેલા હજ્જનું ઇનામ તો બસ જન્નત છે.” (બુખારી). એક બીજી હદીસમાં આવે છે કે “સૌથી ઉત્તમ કાર્ય અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવવું, અલ્લાહના માર્ગમાં જિહાદ (સંઘર્ષ) કરવી અને વિધિવત્ રૂપથી સાચા મનથી હજ્જ કરવી છે.” (બુખારી, મુસ્લિમ)
હજ્જની વ્યાપકતા :
હજ્જના સંબંધમાં મુસ્લિમ વિદ્વાનોનો મત છે કે, આ એક સંપૂર્ણ અને વ્યાપક ઇબાદત છે, જેમાં અન્ય ચાર સ્તંભોમાં વર્ણવેલ માન પણ સંમિલિત છે. જેમકે, મુસલમાન માટે જે બધાથી પહેલી અને મૂળ શરત છે તે છે એકેશ્વરવાદની ધારણા, તો આ હજ્જ દરમિયાન તેની ચરમસીમાએ હોય છે. હજ્જયાત્રી જ્યારે પૂરા મનથી ઝૂમીઝૂમીને તલ્બીયા પઢે છે તો તે બહુ રોમાચંક દૃશ્ય હોય છે. સાંભળવાવાળા પણ અલ્લાહના ગુણગાન અને ભક્તિભાવથી ભાવવિભોર થઈ જાય છે.
“લબ્બૈક અલહુમ્મ લબ્બૈક, લબ્બૈક લાશરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન્નેઅમત લક વલ મુલ્ક લા શરીક લક”
અર્થ : હું તારી સેવામાં ઉપસ્થિત છું, હે અલ્લાહ તારી સેવામાં ઉપસ્થિત છું, હે અલ્લાહ તારી સત્તામાં કોઈ ભાગીદાર નથી, હું તારી સેવામાં ઉપસ્થિત છું, નિઃશંક બધી જ પ્રાર્થના તારા માટે જ છે, બધી જ નેઅમતો તારી જ છે, તારી બાદશાહીમાં કોઈ ભાગીદાર નથી. હું તારી સેવામાં હાજર છું.
લાખો હાજીઓના મોઢેથી લયબધ થઈને જ્યારે આ પંક્તિઓ ફિઝામાં ગૂંજે છે. ત્યારે આ સંસારમાં અલ્લાહના એકત્વ હોવાનું તથા તેનું સર્વોપરી હોવાનું આનાથી મોટુ કોઈ એલાન નથી.
ઇસ્લામનો બીજો સ્તંભ નમાઝ છે. નમાઝમાં અલ્લાહનું જે ધ્યાન, વિનય, તેના પ્રતિ સમર્પિત થઈ જવાની તથા સંસારથી થોડી વાર કપાઈને તેના જ થઈ જવાનો ભાવ છે. તો હજ્જની ઇબાદતમાં પણ આ બધી વિશેષતાઓ મોજૂદ છે. કેમકે, વ્યક્તિ એક લાંબા સમય માટે તેના ઘર, ધંધા-કારોબાર, બાળ-બચ્ચા અને વતનથી દૂર થઈને માત્ર એક અલ્લાહની ઇબાદત માટે એકાગ્ર થઈ જાય છે. બધા જ પરિવારજનો, સગાં-સંબંધીઓની મહોબ્બત પર એક ખુદાની મહોબ્બત પ્રભુત્વ ધરાવે છે અને તે સંપૂર્ણ રીતે અલ્લાહની ઇબાદતમાં તલ્લીન થઈ જાય છે. ત્યાં સુધી કે તેનું હરવું – ફરવું, સૂવું – જાગવું, ખાવું-પીવું, બધું જ ઇબાદતમાં સમાઈ જાય છે.
નિયમિત રીતે પઢવામાં આવનારી નમાઝમાં ૧૫-૨૦ મિનિટ અથવા વધારેમાં વધારે અડધો કલાક લાગે છે. જ્યારે હજ્જમાં ઓછામાં ઓછા બે અઠવાડિયાનો સમય લાગે છે. આજકાલના વ્યસ્ત જીવનમાં બે અઠવાડિયાનો સમય ઇબાદત અથવા તીર્થયાત્રા માટે ખાસ મહત્વ ધરાવે છે. હજ્જના લાંબા સફરમાં જે કોઇ પ્રકારની તકલીફો હજ્જયાત્રીને સહન કરવી પડે છે તે નમાઝના નિયમિત પરિશ્રમથી ઘણી વધારે છે. વિમાનના આરામદાયક સફરના આ યુગમાં પણ પરેશાનીઓ તો સહન કરવી જ પડે છે. કેમ કે, સફર તે સફર જ છે. ૨૦-૩૦ લાખના ટોળામાં કોઈ ફૂલોની જાઝમ તો લગાડેલી હોતી નથી કે અમીર અને ધનવાન લોકો આરામથી હજ્જ કરે અને સાધારણ લોકો તકલીફથી.
નમાઝમાં ઇચ્છનીય તો આ છે કે જ્યારે વ્યક્તિ નમાઝ માટે ઊભી થાય તો તેને એવું લાગે છે કે જાણે તે તેના રબને જાઈ રહી છે અને જો આ ભાવ ઉત્પન્ન ન થાય તો કમ સે કમ એટલું ધ્યાન રાખે કે તેનો રબ તેને જાઈ રહ્યો છે.
એકાગ્રતાની આ સ્થિતિ હજ્જની ક્રિયામાં તેની પરાકાષ્ટાએ હોય છે.
હજ્જ દરમિયાન કેટલીક વિશેષ ક્ષણો એવી પણ આવે છે જેના વિશે હદીસમાં પણ આવે છે કે તે સમયની દુઆ જરૂર કૂબુલ થાય છે. હાજી રડી-રડીને, ગીડ-ગીડાઈને પોતાના ગુનાહોની માફી માંગે છે. ભવિષ્યમાં નિષ્કપટ અને પાપરહિત જીવન જીવવાનો નિશ્ચય કરે છે. પોતાના માટે, પોતાના પરિવારજનો માટે, સંસારના બધા જ ઈમાનવાળાઓ માટે અને સમગ્ર વિશ્વ સમુદાયના શુભ કલ્યાણની દુઆ કરે છે.
નમાઝ મુસલમાનોની દિનચર્યાનો એક ભાગ હોય છે. જ્યારે હજ્જનો સુઅવસર જીવનમાં એકવાર અથવા ક્યારેક જ મળે છે.
ઇસ્લામનો ત્રીજો સ્તંભ-ઝકાત છે. વર્ષમાં એકવાર પોતાની જાઇઝ અને હલાલ કમાઇની ૨.૫% ઝકાત આપીને મુસલમાન પોતાની સંપત્તિ પ્રત્યે નિશ્ચિત થઈ જાય છે. પરંતુ હજ્જમાં તેણે સળંગ લાંબી રકમ લગાવવી પડે છે અને આ ભારે રકમના ખર્ચથી જ સામર્થ્યવાન લોકોના માટે તેને અનિવાર્ય કરવામાં આવી છે. એક ભારતીય હાજીને વર્તમાન સમયમાં સામાન્ય રીતે ચાર લાખ જેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે. જા પતિ-પત્ની બંનેનો સામૂહિક સફર હોય તો લગભગ આઠ લાખ રૂપિયા જેટલી રકમ લાગી જાય છે.
આ રીતે, આપણે જાઈએ છીએ કે એક વ્યક્તિ કોઈ સાંસારિક લાભ અથવા સુખની ઇચ્છાથી ખસીને માત્ર અલ્લાહને ખુશ કરવા, પોતાની આત્માનો વિકાસ કરવા, પાપોથી મુક્ત થવા, ક્યારેય ક્ષીણ ન થવા વાળા શાશ્વત જીવન (આખિરત)ની ઇચ્છામાં પોતાની કમાણીનો એક મોટો ભાગ આ પવિત્ર યાત્રા માટે ખુશી ખુશી ખર્ચ કરે છે. જા હજ્જના ડ્રોમાં તેનું નામ ન આવે તો તે ખુશ થવાના બદલે દુખી થાય છે. ખરેખર, સંસારિક દૃષ્ટિએ આ ખુશ થવાનો મોકો હોય છે કે, કોશિષ તો કરી પણ સફળ ન થયા. ચાલો, સારૂ થયું આટલા પૈસા બચી ગયા, કોઈ બીજા કામમાં લાગી જશે.
ઇસ્લામનો ચોથો સ્તંભ રોઝા અને પાંચમોં સ્તંભ હજ્જ છે. નિયમિત રોઝા રમઝાનના દિવસોમાં પૂરા એક મહિના માટે રાખવામાં આવે છે. દિવસ દરમિયાન ખાવા પીવા અને જાતીય ઇચ્છાઓની મનાઈ કરવામાં આવી છે. પરંતુ સૂર્યાસ્ત થતાં જ આ બધા બંધન આપમેળે સમાપ્ત થઈ જાય છે. હજ્જના ૧૦ દિવસના આ ગાળામાં હાજીને જે પાબંદીઓ અને બંધનોના ઘેરામાંથી ગુજરવું પડે છે, તે સ્વયં એક કઠિન પરીક્ષાથી ઓછું નથી. આ પાબંદીઓ તો એહરામ બાંધવાની સાથે જ શરૂ થઈ જાય છે. ભલે હજ્જને શરૂ થવામાં મહિનો કે અઠવાડિયા પહેલાં એહરામ બાંધી લીધો હોય.
આ બંધનો નીચે મુજબ છે :
માથા અથવા શરીરના વાળ કપાવવા, નખ કાપવા, સીવેલા કપડા પહેરવા, ટોપી પાઘડી, અમામા અથવા કોઈ પણ પ્રકારે માથુ ઢાંકવું, મોજાં પહેરવા શરીર પર સુગંધ કે અત્તરનો ઉપયોગ કરવો. સ્ત્રીએ નકાબનો ઉપયોગ કરવો, સગાઈ કે નિકાહ કરવા, સંભોગ કરવો, કોઈ જાનવરોનો શિકાર કરવો, વ્યાભિચાર અને ગુનાહના બધા જ કાર્યો, લડાઇ, ઝઘડા વગેરે પ્રતિબંધિત છે.
પરંતુ સ્ત્રીઓ માટે સીવેલા કપડા પહેરવા જાઇઝ છે. એહરામમાં ઇચ્છનીય છે કે, સફેદ લુંગી અને ચાદર હોય. જે કોઈ પણ પ્રકારે રંગીન ના હોય. નાહી-ધોઇને હજામત કરાવીને, એહરામ બાંધવો સુન્નત છે. ૧૦ જિલહજ્જના રોજ એહરામ ઉતારે છે, માથુ મુંડાવે છે અને બધા પ્રતિબંધ સમાપ્ત થઈ જાય છે. પરંતુ એનો મતલબ એવો નથી કે, ગુનાહોના કામોનો પ્રતિબંધ સમાપ્ત થઈ જાય છે.
અંદાજા કરી શકીએ છીએ કે, હજ્જના દિવસોમાં મનુષ્ય કેટલો બધો સંયમી થઇ જાય છે. પોતાની પસંદ-નાપસંદ અને બધી જ ઇચ્છાઓ પર ખુદાનો હુકમ સર્વોપરી છે. હજ્જનું આ સ્થાન ઉચ્ચ છે, આ તેની ગુણવત્તાની દૃષ્ટિથી પણ આશ્રમો, સાધનાઓ, યોગા અને તપસ્યાઓમાં ઉત્તમ છે.
કા’બાનો તવાફ
કા’બાને પવિત્ર કહેવામાં આવે છે અને તેને અલ્લાહના ઘરનું વિશેષણ આપવામાં આવ્યું છે. અલ્લાહ પોતે પવિત્ર છે અને તેનાથી સંબંધિત વસ્તુઓનું પણ પવિત્રપાવન હોવું સ્વંયસિદ્ધ થઈ જાય છે. “અલ્લાહનું ઘર” કહેવાનો અર્થ તેવું કોઈ નથી લગાવી શકતા કે તે આમાં નિવાસ કરે છે અથવા આમાં આવીને પ્રગટ થાય છે. હકીકતમાં અલ્લાહના આદેશથી આને આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે હઝરત ઇબ્રાહીમ અ.સ.એ પોતાના આજ્ઞાંકિત દીકરા હઝરત ઇસ્માઇલ અ.સ.ના સહયોગથી તોહીદ (એકેશ્વરવાદ)ના કેન્દ્રના રૂપમાં નિર્માણ કર્યું. આજે પણ આ એકેશ્વરવાદનું સમગ્ર વિશ્વમાં મહાનતમ પ્રતીક છે. જેના સાંનિધ્યમાં સમગ્ર વિશ્વમાં આના અનુયાયીઓ લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે.
ઈંટ-પત્થરની આ ઇમારતનું મહ¥વ આનાથી જ વધી જાય છે કે તેના આજ્ઞાંકિત અનુયાયી હઝરત ઇબ્રાહીમ અ.સ.ની આ યાદગારને અલ્લાહે પોતાનું ઘર પ્રતિપાદિત કર્યું છે અને તેને પવિત્ર પાવન બનાવ્યું છે.
હજ્જનો વિશેષ મહિમા
હજ્જનું એક મહત્ત્વપૂર્ણ અંગ કુર્બાની છે. હમણા જ તમે જાણી ચૂક્યા છો કે, એહરામ ધારણ કરેલી વ્યÂક્ત માટે શિકાર કરવું પ્રતિબંધિત છે તેમજ શિકારની નિશાનદેહી કરવી પણ પ્રતિબંધિત છે અને આ પ્રતિબંધ એવો છે કે, કોઈ હાજી માટે કોઈ અન્ય વ્યક્તિ શિકાર કરે તો પણ તેનું માંસ ખાવુ તેના માટે યોગ્ય નથી. આ મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે આર્થિક દંડની જાગવાઈ છે. આટલું જ નહીં માથામાં મળનારી જૂ, ખાટલા કે બિસ્તરમાં મળવાવાળા માંકડ તેમજ કીડી જેવા જીવને પણ મારવુ પ્રતિબંધિત છે.આવો જ કોઈ જીવ પગના નીચે કચડાઈ જાય તો તેમાં પણ આ જ સજા છે.
ઘણા લોકો જાણે છે કે, કુર્બાનીનો ઉદ્દેશ્ય માંસ ખાવાનું નહીં પરંતુ હઝરત ઇબ્રાહીમ અ.સ.ની યાદગીરીને તાજી કરવાનો છે અને આ યાદગીરી અલ્લાહના પ્રિય પયગંબર (ઈશદૂત) હઝરત ઇબ્રાહીમ અ.સ.એ કાયમ કરી હતી. અલ્લાહે તેમની પરીક્ષા તે રીતે લીધી કે, તેમણે સ્વપ્નમાં જોયું કે, પોતાના વૃદ્ધાવસ્થાની યાદગીરી એવા વ્હાલા દીકરા ઇસ્માઇલ અ.સ.ને ઝિબહ (કુર્બાન) કરે છે. તેમણે એવું વિચાર્યું કે, આ અલ્લાહનો આદેશ છે અને જવાન દીકરાને તેમણે કુર્બાન કરવાનો નિશ્ચય કરી લીધો. કુર્બાની આપવાથી પહેલાં અલ્લાહે તેમને પરીક્ષામાં સફળ કરીને દીકરાની જગ્યાએ આકાશમાંથી એક ઘેટો ઉતારી દીધો અને તેમને દિવ્ય વાણી કરવામાં આવી કે તમે પરીક્ષામાં સફળ છો, હવે આ ઘેટાની કુર્બાની કરો. તેથી તેમણે તે ઘેટાને કુર્બાન કર્યો.
જ્યારે પણ કોઈ મુસલમાન કોઈ જાનવરને કુર્બાન કરે છે ત્યારે આ વચન તેની સામે હોય છે કે, હે અલ્લાહ! તારા આદેશ પર અમે સંસારની બધી નાની મોટી વસ્તુ ન્યોછાવર કરી શકીએ છીએ ત્યાં સુધી કે પોતાના વ્હાલા દીકરાને પણ તારા માટે કુર્બાન કરી શકીએ છીએ. આ જાનવર તો માત્ર એક પ્રતીક છે. -•-
લે. ડો. ફારૂક મેમન