Home સમાચાર વકફ સુધારા બિલ ૨૦૨૪

વકફ સુધારા બિલ ૨૦૨૪

0
15

મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન અને લોકશાહી મૂલ્યો પર હુમલો

– જુનૈદ અલી, મધ્ય પ્રદેશ

લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ, સંકલન, સમાનતા અને સહમતિ જેવા મૂળભૂત તત્ત્વો તેને જીવંત, સંવેદનશીલ અને અકબંધ રાખે છે. આ મૂળભૂત ભાવનાઓને અપનાવીને સરકાર લોકતાંત્રિક ઉદ્દેશોને જાળવી શકે છે. પરંતુ છેલ્લા અગિયાર વર્ષોમાં, સંસદ ભવનથી પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ઘણા એવા વિધેયકો પસાર કરાવીને કાયદા બનાવવામાં સફળ રહી છે જે સૈદ્ધાંતિક રીતે જનભાવનાઓને પ્રતિબિંબિત કરવાને બદલે બહુમતીના જોર અથવા દબાણના  વ્યવસ્થાપન કૌશલ્યને દર્શાવે છે. ભૂમિ અધિગ્રહણ વિધેયકથી શરૂ કરીને લેબર એક્ટ, નાણાં વિધેયક હેઠળ ચૂંટણી બોન્ડ યોજના, નાગરિકતા સંશોધન કાયદો અને ત્રણ કૃષિ કાયદાઓ સુધી વિવાદોની યાદી લાંબી છે. હાલમાં બંને ગૃહોમાં પસાર થયેલ વક્ફ સુધારા વિધેયક ૨૦૨૪ લોકતાંત્રિક મૂલ્યો પર સીધો પ્રહાર કરતું જણાય છે. આ વિધેયક લઘુમતી સમુદાય, વિશેષ કરીને મુસ્લિમોને તેમના અધિકારોથી વંચિત કરવા અને તેમને મુખ્ય પ્રવાહથી બહાર કરવાની એક સોચી-સમજી વ્યૂહરચનાનો ભાગ લાગે છે. આવા પ્રયાસો ન ફક્ત દેશની બહુસંખ્યક વસ્તીના તુષ્ટિકરણ દ્વારા વર્ચસ્વ જાળવી રાખવાનો સંકેત આપે છે, બલ્કે ભારતના વિવિધતાપૂર્ણ લોકતંત્ર માટે ગંભીર ખતરો પણ ઊભો કરે છે. આ કુત્સિત વલણોની હકીકત એ જ છે કે દુનિયાના સૌથી મોટા અને વિવિધતાપૂર્ણ લોકતંત્ર માટે એક  ઘાતક પ્રયાસ છે, જે સમૃદ્ધ અને જનહિતકારી તંત્રને મૂલ્યવિહીન બનાવવા તરફ અગ્રેસર છે.

હાલના વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યશૈલી સતત વિવાદોમાં રહી છે અને વ્યાપક ચર્ચા અને આવશ્યક વિચારણા વિના એક પછી એક ધડાધડ પસાર થતા ખરડાઓનું કાયદામાં રૂપાંતર નિરંકુશ નેતૃત્વની સાક્ષી પૂરે છે અને લોકશાહીમાં ચોકીદારની ભૂમિકામાં તૈનાત વિરોધ પક્ષોની ભૂમિકાને ગ્રહણ લગાવે છે. પીએમ મોદી સરકારે વક્ફ સુધારા વિધેયક ૨૦૨૪ને પણ ખૂબ જ ઉતાવળમાં સંસદમાં રજૂ કર્યું અને આ બિલ પર જે રીતે જેપીસી સમિતિનો દેખાડો ઉજાગર થયો તે વિશ્વસનીયતાના સંકટને ભયાનક હદ સુધી પહોંચાડનારો હતો, કારણ કે વિરોધના અવાજને ખૂબ જ મનસ્વી રીતે અવગણવામાં આવ્યો અને જેપીસીની સમગ્ર કાર્યવાહી તમામ વાંધાઓને બાજુ પર રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી દિશામાં એક વિશેષ એજન્ડા હેઠળ આગળ વધી હતી જે સમિતિના ઔચિત્યને સમાપ્ત કરનારી માનવામાં આવી. નિત્ય નવા ભ્રામક મુહાવરાઓ ઘડનારી વર્તમાન કેન્દ્ર સરકારે વક્ફ સુધારા વિધેયક ૨૦૨૪ને “ઉમ્મીદ” નામથી અલંકૃત કર્યું છે. “UMEED” એટલે કે (Unified Waqf Management, Empowerment, Efficiency, and Development Act) રાખવામાં આવ્યું છે અને મુસ્લિમ સમુદાયને એ ખાતરી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ મુસલમાનોની ધામિર્ક બાબતોમાં હસ્તક્ષેપ નથી, બલ્કે વક્ફની પ્રવૃત્તિઓમાં પારદશિર્તા લાવવાની સાથે વક્ફની સંપત્તિઓની હિફાઝત અને તેના વધુ સારા અમલીકરણની દિશામાં એક સકારાત્મક પહેલ છે જેના આધારે મુસ્લિમ સમુદાયમાં છવાયેલી ગરીબીને દૂર કરવાની સાથે તેમને વિવિધ પરિમાણો પર તેમને સશક્ત બનાવવામાં આવશે, પરંતુ પીએમ મોદી સરકારની યોજના પર ગંભીર સવાલ એ જ છે કે, “શું મુસ્લિમ સમુદાય તરફથી વક્ફ સુધારા વિધેયક ૨૦૨૪માં વર્ણવેલ જોગવાઈઓની માંગ કરવામાં આવી હતી?”

વર્ષ ૧૯૯૫ પછી વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૩માં થયેલા સુધારા બાદ વક્ફ કાયદો પોતાનામાં વ્યવહારુ, સંતુલિત હોવાની સાથે વક્ફની જોગવાઈઓમાં વ્યાપક પારદશિર્તા આવી ગઈ હતી અને મુદ્દો માત્ર તેના યોગ્ય તથા ન્યાયિક અમલનો જ બાકી હતો. સચ્ચર સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે વક્ફ સંપત્તિઓના ન્યાયિક અમલ હેઠળ મુસ્લિમ સમુદાયને દુર્દશામાંથી બહાર કાઢી શકાય છે જે તેમને મુખ્યધારામાં સામેલ કરવા માટે અત્યંત આવશ્યક છે, પરંતુ એક વ્યવહારુ કાયદાની હાજરી હોવા છતાં વક્ફ કાયદામાં ફેરફાર કરવાનો સ્પષ્ટ આશય આ જ છે કે પીએમ મોદી સરકાર મુસ્લિમ સમુદાયની નક્કર સંપત્તિઓને કાનૂની ગૂંચવણોમાં ફસાવીને લઘુમતીઓના સૌથી મોટા વર્ગને આર્થિક રીતે પાછળ ધકેલવાનો મનસૂબો ધરાવે છે, જે કથિત રીતે ભાજપના માતૃત્વ સંગઠનનો મુખ્ય એજન્ડા છે. પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભામાં વક્ફ (સંશોધન) વિધેયક અને મુસલમાન વક્ફ (રિપિલ) વિધેયકના પસાર થવાને એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણાવતાં કહ્યું હતું કે તેનાથી સિસ્ટમમાં પારદશિર્તા વધશે. પરંતુ પસાર થયેલા વિધેયક પર ગંભીર આક્ષેપ આ છે કે વક્ફની સંપત્તિઓને વિવાદાસ્પદ બનાવવાની સાથે સીમિત કરવાની એક વિશેષ યોજના છે જેને પારદશિર્તાના ઓઠા હેઠળ લાગુ કરવામાં આવી રહી છે. આ અત્યંત ખેદજનક સ્થિતિ છે કે જ્યારે લોકશાહીનું રક્ષણ કરનારી કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, ન્યાયાલયો અને પ્રશાસનોની સાથે મુખ્ય સરકારી સંસ્થાઓના કામોમાં છવાયેલ ધૂમ્મસને લઈને રોજબરોજ ચર્ચાઓનું બજાર ગરમ હોય તો આ પરિસ્થિતિની વચ્ચે વક્ફમાં પારદશિર્તાનો સવાલ એક વિશેષ માનસિકતાને પ્રદશિર્ત કરે છે અને તેનાથી સિસ્ટમમાં પારદશિર્તાના સ્તરને કેવી રીતે પ્રોત્સાહન મળી શકે છે?

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એવું પણ લખ્યું કે દાયકાઓ સુધી વક્ફ સિસ્ટમમાં પારદશિર્તા અને જવાબદારીનો અભાવ હતો. હવે સંસદમાં ખરડો પસાર થયા બાદ પારદશિર્તાને પ્રોત્સાહન મળશે અને લોકોના અધિકારોનું રક્ષણ થઈ શકશે. વિશેષ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમો, પછાત મુસ્લિમોને નુકસાન પહોંચ્યું છે અને હવે વક્ફ સંશોધન બાદ એવા લોકોને મદદ મળશે, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, જેમનો અવાજ સાંભળવામાં નહોતો આવતો અને જેમને તકોથી દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ જાણકારોનું એવું કહેવું છે કે જ્યારે લઘુમતી મંત્રાલયને સરેરાશ ઓછું બજેટ ફાળવવામાં આવે છે અને ફાળવેલું બજેટ પણ પૂરેપૂરૂં ખર્ચ ન થાય અને મુસ્લિમ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં આડેધડ કાપ મૂકવામાં આવે તો પીએમ મોદીનું વક્ફ અંગેનું નિવેદન પોતાનું ઔચિત્ય સ્થાપિત કરતું નથી. સવાલ એ પણ છે કે દેશનાં નામાંકિત મંદિરો અને બહુસંખ્યકોનાં મોટાં ધર્માદા સંગઠનો પાસે મોટી સંપત્તિઓ છે. તો કેન્દ્ર સરકાર તેમના માટે કોઈ વિશેષ કાયદો બનાવવાનો પ્રયાસ કેમ નથી કરતી, જેથી જમા થયેલા ધનથી દેશના બહુસંખ્યક ગરીબોનું કલ્યાણ થઈ શકે.

સંસદમાંથી પસાર થયેલ વક્ફ સુધારા વિધેયક ૨૦૨૪ને કાયદો બનવામાં જે ઔપચારિકતા  બાકી હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે ૮ એપ્રિલ ૨૦૨૫થી કાયદો બની ગયેલ છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ મુસ્લિમ સમુદાયના આંતરિક બાબતોમાં કેન્દ્ર સરકારના સીધા હસ્તક્ષેપનું પ્રતીક છે જે લોકતાંત્રિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. આ સુધારો સરકારને વક્ફ બાબતોમાં પોતાની મનમાની કરવાની સંપૂર્ણ છૂટ આપે છે જેનાથી વક્ફ બોર્ડની હેસિયત અને અધિકાર માત્ર દેખાડો બનીને રહી જશે. આ ઉપરાંત વક્ફ સંપત્તિઓમાં કાનૂની જટિલતાઓના પૂર આવવાની સંભાવના છે. સુધારાની જોગવાઈઓ એટલી જટિલ છે કે વક્ફ સંપત્તિઓ પર મુસ્લિમ સમુદાયનો એકાધિકાર સમાપ્ત થઈ જશે અને બધું જ સરકારના વિવેક પર ર્નિભર કરશે, જે ઘણીવાર નફરતપૂર્ણ પ્રવૃત્તિઓથી પ્રભાવિત હોય છે. સૌથી મોટો બદલાવ એ છે કે હવે કોઈ પણ વ્યક્તિ સીધી રીતે વક્ફને સંપત્તિ દાન નહીં કરી શકે. ફક્ત તે જ લોકો પોતાની સંપત્તિ દાન કરી શકે છે, જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા હોય. પરંતુ સવાલ એ છે કે તેનું નિર્ધારણ કોણ કરશે અને આ જોગવાઈને કેવી રીતે લાગુ કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે દાનની પ્રક્રિયાને એટલી જટિલ અને કાગળની કાર્યવાહીમાં ગૂંચવી દેવામાં આવશે કે કોઈ મુસ્લિમ માટે સંપત્તિ વક્ફ કરવી અત્યંત મુશ્કેલ થઈ જશે. આ વિધેયક ન માત્ર મુસ્લિમ સમુદાયના અધિકારોને નબળો પાડે છે, પરંતુ લોકતાંત્રિક મૂલ્યો અને વિવિધતા માટે પણ ખતરો ઊભો કરે છે.

પસાર થયેલ વક્ફ સુધારા વિધેયકમાં આ અત્યંત વાંધાજનક જોગવાઈ નક્કી કરવામાં આવી છે કે વક્ફ સંપત્તિઓની ઓળખ અને વ્યવસ્થાપન પર સરકારી દેખરેખ અને ર્નિણય સર્વોપરી રહેશે. હાલના સમયમાં વક્ફ સર્વેક્ષણ વક્ફ સર્વેક્ષણ કમિશનરો દ્વારા કરવામાં આવે છે, જેમનું કર્તવ્ય વક્ફ ભૂમિનો રેકોર્ડ જાળવવામાં દર્શાવેલું છે પરંતુ સુધારેલા કાયદાના અમલમાં આવ્યા પછી જિલ્લા કલેક્ટરને આવી સંપત્તિઓનું સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આ વ્યાપક જટિલ સ્થિતિ દર્શાવે છે કે જો કોઈ વક્ફ દાવો સરકારી જમીન સાથે સંબંધિત હોય, તો સુધારો એવું સૂચવે છે કે એક અધિકારી, જેની રેન્ક કલેક્ટરથી ઉપર હોય, તે દાવાની તપાસ કરશે અને રાજ્ય સરકારને રિપોર્ટ અથવા ભલામણ સોંપશે અને અહીંથી જ સરકારોની મનમાનીનો ખેલ અસાધારણ સ્થિતિને પ્રતિબિંબિત કરશે. રાજકીય જાણકારોનું માનવું છે કે વોટ બેંકની રાજનીતિમાં, મુસ્લિમ બાબતોમાં સત્તારૂઢ પક્ષને અનિચ્છનીય અધિકાર આપવો ન માત્ર અન્યાયી છે બલ્કે લોકતાંત્રિક ભાવનાઓ વિરુદ્ધ છે જેના કારણે ધ્રુવીકરણની રાજનીતિ સ્થાયી થઈ શકે છે અને સામાજિક વિભાજન ન પૂરી શકાય તેવી ખાઈના સ્તર પર પહોંચી શકે છે.

વક્ફ સુધારા કેસોમાં મુસ્લિમ સમુદાય તરફથી નોંધાયેલ સૌથી મોટો વાંધો એ છે કે વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની તર્કહીન જોગવાઈ છે. વક્ફ સુધારા મુજબ, કેન્દ્રીય વક્ફ પરિષદ અને રાજ્ય વક્ફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન-મુસ્લિમ સભ્યો હોવા ફરજિયાત છે અને તેની મહત્તમ મર્યાદા સ્પષ્ટ નથી. જ્યારે બીજી તરફ, વક્ફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી માટે મુસ્લિમ હોવાની ફરજિયાતતા પણ દૂર કરવામાં આવી છે. આ અવ્યવહારુ જોગવાઈ પર પોતાનો તર્ક આપતાં કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પગલું વક્ફ વહીવટને વધુ સમાવેશી અને પારદર્શક બનાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ આ જોગવાઈને સીધો હસ્તક્ષેપ ગણાવીને કહ્યું છે કે વક્ફ ઇસ્લામી કાયદાના આધારે એક ધામિર્ક વ્યવસ્થા છે અને બિન-મુસલમાનોને તેના વહીવટમાં સામેલ કરવાનું ઔચિત્ય અને સમજથી પર છે, બલ્કે છુપાયેલા એજન્ડાની પુષ્ટિ કરે છે. આ ઉપરાંત, પસાર થયેલા વક્ફ સુધારા ખરડામાં મહિલાઓ સંબંધિત બાબતો, સંપત્તિના કેરટેકર અને પેન્ડિંગ કેસોને લઈને ગૂંચવણોને પ્રોત્સાહન આપનારી સ્થિતિ છે, જે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ સમુદાય માટે મુશ્કેલીઓમાં વધારો કરશે.

વક્ફ સુધારા ખરડો ૨૦૨૪નું બંને ગૃહોમાં સરળતાથી પસાર થવું તે કથિત સેક્યુલર રાજકીય પક્ષોને સંપૂર્ણપણે ખુલ્લા પાડે છે, જેઓ ચૂંટણીના સમયે મુસ્લિમ સમુદાયના હિમાયતી બનીને સમર્થન મેળવતા આવ્યા છે. પીએમ મોદી સરકાર માટે લઘુમતીમાં હોવા છતાં પણ મહત્વપૂર્ણ ખરડાઓને બંને ગૃહોમાં પસાર કરાવવા માટે ક્યારેય કોઈ ખાસ મહેનત કરવી પડી નથી, પરંતુ વક્ફ મામલે મુસ્લિમ સમુદાયને એવી અપેક્ષા હતી કે જેડીયુ અને ટીડીપીના નેતાઓ નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયે જે મોટા પ્રમાણમાં પોતાનું સમર્થન બંને પક્ષોને આપ્યું હતું, જેના આધારે તેઓ સત્તા પર આવ્યા, તેનું ધ્યાન રાખીને એક સાર્થક અને ન્યાયિક ર્નિણય પર પહોંચશે, પરંતુ બંને પક્ષોએ જે રીતે લોકશાહી ભાવનાઓને અવગણી છે તે કોઈ દગાબાજીથી ઓછું નથી અને આ રાજકીય ધૂર્તતા માત્ર મુસ્લિમ સમુદાય સાથે કરવામાં આવેલો મોટો દગો નથી, પરંતુ તે સમગ્ર સિસ્ટમને બેભાન અવસ્થામાં પહોંચાડનારી છે, કારણ કે તકવાદી રાજનીતિથી કોઈ પણ પોતાને સુરક્ષિત અનુભવી શકે નહીં. મોડે-મોડે પણ તેની આંચ દરેકને પોતાની ઝપટમાં લેશે.

અંતિમ સમયે વક્ફ સુધારા ખરડાને પસાર થતો અટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધન અથવા સંયુક્ત વિપક્ષી ગઠબંધને પૂરી તાકાત લગાવી, પરંતુ આ સ્થિતિ રાજકીય દૂરંદેશીના અભાવ અને પરસ્પર ખેંચતાણને દર્શાવે છે. તે પહેલાંથી જ સ્પષ્ટ હતું કે પીએમ મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં એનડીએ સરકાર વક્ફ સુધારા ખરડો રજૂ કરશે, કારણ કે તે તેમની માતૃસંસ્થા આરએસએસના મુખ્ય એજન્ડાનો ભાગ હતો. તેમ છતાં, વિપક્ષી દળોનું પોતાની ધર્મનિરપેક્ષ છબીનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવું સામાન્ય ઘટના નથી. સંકેતોના આધારે વાસ્તવિકતા આ છે કે દેશનો કોઈ પણ રાજકીય પક્ષ, ભલે તે લોકશાહી ભાવનાઓની ગમે તેટલી દુહાઈ આપે, બહુમતી સમુદાયની ભાવનાઓ વિરુદ્ધ જવાની હિંમત કરતો નથી. વોટ બેંકની રાજનીતિમાં આ વલણ સ્પષ્ટપણે દેખાય છે. જો કે, તે પણ સાબિત થયું છે કે આ બિનલોકશાહી પ્રવૃત્તિથી વિપક્ષી દળોને કોઈ ફાયદો થયો નથી. તેનાથી વિપરીત, તેમને ચારે બાજુથી નુકસાન થયું છે, અને કેટલાક પક્ષ તો અસ્તિત્વના સંકટનો સામનો કરવાની કગાર પર પહોંચી ગયા છે. આ સ્થિતિ માત્ર લોકશાહી મૂલ્યોને નબળી પાડતી નથી, બલ્કે દેશની રાજકીય સંરચનાને પણ પડકારે છે. કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા જયરામ રમેશે એક્સ પર લખ્યું કે, વક્ફ સુધારાઓને કોંગ્રેસ પાર્ટી ન્યાયાલયમાં પડકારશે. આ કથનમાં વિશ્વાસની સ્પષ્ટ કમી દેખાય છે, કારણ કે વક્ફ સુધારાઓને ન્યાયાલયમાં પડકારવાનો ઇરાદો કોઈ અન્ય મોટા કોંગ્રેસી નેતાએ દોહરાવ્યો નથી. જયરામની જાહેરાત વાસ્તવમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવથી જાહેરાતથી વધુ અલગ દેખાતી નથી, જ્યારે તેમણે ગુનાહિત કૃત્ય હેઠળ બાબરી મસ્જિદને તોડી પાડ્યા પછી તેના પુન:નિર્માણનું વચન મુસ્લિમ સમુદાયને આપ્યું હતું. જો કે, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ગૃહમાં આપેલું આ નિવેદન ધ્યાન આર્કષિત કરે છે, જ્યારે તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “વક્ફ (સુધારા) ખરડો, લઘુમતી સમુદાયને બદનામ કરવા, ભારતીય સમાજને વિભાજિત કરવા અને લઘુમતીઓને તેમના અધિકારોથી વંચિત કરવા માટે કેન્દ્ર સરકાર ઉપયોગ કરી રહી છે.” વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે, આ સુધારો મુસલમાનોની આસ્થા અને ધામિર્ક પરંપરાઓ પર સીધો હુમલો છે. ત્યારબાદ પ્રતિકાત્મક રીતે ખરડાના પાનાં ‘ફાડી’ નાખ્યા અને પોતાના આ પગલાની સરખામણી મહાત્મા ગાંધી દ્વારા અન્યાયી કાયદાઓ સામે કરવામાં આવેલા પ્રતિકાર સાથે કરી. વક્ફ સુધારાનો ખેલ સદનોમાં સમાપ્ત થઈ ચૂક્યો છે અને હવે સમગ્ર ધ્યાન ન્યાયાલયો પર હશે, પરંતુ બાબરી મસ્જિદ પ્રકરણમાં આવેલો ન્યાયાલયનો અસંતોષકારક ચુકાદો મુસલમાનોને દુવિધામાંથી બહાર નીકળવા દેશે નહીં. વક્ફ સુધારા ખરડાનું સરળતાથી પસાર થવું મુસ્લિમ સમુદાય માટે એક ઊંડો આઘાત છે અને અત્યંત પડકારજનક ભવિષ્યનો અનુભવ કરાવે છે, કારણ કે હવે આ વાસ્તવિકતા જ છે કે વિશ્વના સૌથી મોટા અને વિવિધતાપૂર્ણ લોકતંત્રમાં મુસ્લિમ તબક્કો અલગ-થલગ પડી ચૂક્યો છે. સેક્યુલર રાજકીય પક્ષોની મૂળ ભાવનાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને મુસ્લિમ સંગઠનોની અક્ષમતા રસ્તાઓ તથા ચોરાહા પર જાહેર થઈ ચૂકી છે. આ અત્યંત ખેદજનક અને નિરાશાજનક છે કે મુસ્લિમ સંગઠનોની વાસ્તવિક ભૂમિકા ઈદના ચાંદની પુષ્ટિ સુધી સીમિત થઈને રહી ગઈ છે અને દૂરંદેશીના આધારે સમસ્યાઓનું સમાધાન શોધવાનો જુસ્સો પોતાના નીચલા સ્તરે પહોંચી ચૂક્યો છે. એ પણ સ્પષ્ટ છે કે સકારાત્મક પરિવર્તનની શરૂઆત માત્ર ઉલટફેરથી મળેલા અનુભવોમાંથી બોધપાઠ લઈને જ થઈ શકે છે. જો કે, પ્રગતિની દિશામાં આગળ વધવા માટે એ જરૂરી છે કે સંકટ દરમિયાન હાંસલ થયેલા અનુભવો પ્રત્યે વફાદાર રહેવાય અને દરેક નકારાત્મક પરિસ્થિતિમાં પોતાના હોંસલા બુલંદ રાખવામાં આવે. આ જ દૃષ્ટિકોણ મુશ્કેલીઓને તકોમાં બદલવામાં અને એક સશક્ત ભવિષ્યનો પાયો નાખવામાં મદદરૂપ થઈ શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here