કસોટી દૃષ્ટિકોણની

0
52

લે. શકીલ અહમદ રાજપૂત

હાલમાં રીડિંગરૂમ અને લાઇબ્રેરીની મુલાકાત લેવાનો અવસર મળ્યો. મારા સ્કૂલ ટાઇમની યાદ તાજી થઈ ગઈ અને રીડિંગ રૂમમાં વિદ્યાર્થીઓની ભરચક સંખ્યા જોઈને દિલ પ્રસન્ન થઈ ગયું. આજે વડીલો ફરીયાદ કરે છે કે આજની પેઢી અધ્યયનમાં રુચિ નથી ધરાવતા. યારી-દોસ્તી અને મોબાઇલ પર આંગળીઓ નચાવવામાં સમય પસાર કરે છે. ભણવામાં તેમને રસ નથી અને જેમને ભણવાનું પેશન છે તેમની સમજ પણ તેમના વિષયમાં બહુ ઊંડી હોતી નથી. જુજ વિદ્યાર્થીઓ અપવાદ છે. આ વાતાવરણમાં હું વિચારવા લાગ્યો કે મોટેરાઓનું નિરીક્ષણ અને નવી પેઢી વિશે તેમના મંતવ્ય ખોટા છે. અહીં તો કંઈક જુદો જ નઝારો હું જોઈ રહ્યો છું પીન ડ્રોપ શાંતિ છે, બધા પોત પોતાની ડેસ્ક પર બેસીને વાંચવામાં મગ્ન છે. કોઈ ગણિતનો કોયડો ઉકેલી રહ્યો છે, કોઈ સુત્રો ગોખી રહ્યો છે કોઈ કેમેસ્ટ્રીના બંધારણીય સૂત્રો બનાવી રહ્યો છે, તો કોઈ ન્યુટનના નિયમો લખી રહ્યો છે, કોઈ ભાષાકીય વિષયોની તૈયારી કરી રહ્યો છે તો કોઈ સિવિલ પરીક્ષાની તૈયારીઓમાં ગળાડૂબ છે. ખૂબ જ ખંત અને મહેનતથી તેઓ તેમના વિષયો સમજવા-વાંચવા-ગોખવા પ્રયત્ન કરી રહ્યા છે. તે લાઇબ્રેરીનું દૃશ્ય વિદ્યાર્થીઓની મહેનતની સુગંધથી મનોહર લાગી રહ્યું હતું.

હું આ બધું જોતાં રૂમથી બહાર આવ્યો ત્યાં જ મારી નજર ચર્ચા કરતા બે મિત્રો પર પડી. બંને ખૂબ જ ટેન્શનમાં જણાઈ રહ્યા હતા. એકે કહ્યું યાર, મારો તો ૩૦ ટકા જ કોર્સ પૂરો થયો છે ને પરીક્ષાના ૧૦ જ દિવસ બાકી છે. ક્યારે પૂરો થશે. અને ક્યારે પુનરાવર્તન કરીશું, કંઈ સમજાતું નથી. ઓલી પારોના ચક્કરમાં આખુ વર્ષ વીતી ગયું અને પરીક્ષાની તારીખો આવી તો આંખો ઊઘડીપ ટેન્શનમાં ને ટેન્શનમાં કંઈ યાદ પણ થતું નથી, તારે તો તેમની વાત વચ્ચેથી કાપતાં તેમના મિત્રે કહ્યું મારે આવું કોઈ ટેન્શન નથી. મારું એકવાર પુનરાવર્તન પણ થઈ ગયું છે અને પાંચ પેપર પણ સોલ્વ કરી લીધા છે. હું તો રોજે રોજ પોતાનું કામ પતાવતો હતો અને યાદ કરતો હતો. તને તો ખબર છે ને મારા પપ્પા કોઈ બિઝનેશમેન નથી. તેઓ કાળી મજૂરી કરીને મને ભણાવી રહ્યા છે. તેમનું સ્વપ્ન મને એન્જિનિયર બનાવવાનું છે, જોકે મમ્મી ડૉક્ટર બનવા માટે કહે છે અને તેના કારણે બંને તરફથી સતત ઊંચી ટકાવારી લાવવાનું દબાણ રહે છે. જો મારા ટકા ઓછા રહી ગયા તો ગવર્નમેન્ટ સીટ પર મારૂ એડમિશન શક્ય નથી અને સેલ્ફ ફાઇનાન્સમાં તેઓ કોઈ વ્યવસ્થા કરી શકે તે મને લાગતું નથી. બસ પરીક્ષામાં ઊંચી ટકાવારી બનાવવાનું ટેન્શન છે. જેથી હું સતત ૧૮-૨૦ કલાક વાંચી રહ્યો છું. ખાવાનુંય મન થતું નથી અને શાંતિની ઊંઘ તો પરીક્ષા પછી જ મળશે.

મારાથી રહેવાયું નહીં અને બિન માગી સલાહ આપતા કહ્યું, મિત્ર, શું કામ ચિંતા કરે છે. આખું વર્ષ તે વેડફી દીધું તો કાંઈ નહીં. ‘આંખ ખુલી જબ સવેરા’. હવે બધું તૈયાર કરવા કરતાં જેટલા દિવસો બાકી છે તેનું સારૂં આયોજન કરી લે. દરેક વિષયમાં પાસીંગ માર્ક મળી જાય તેટલું ટાર્ગેટ બનાવીને મહેનત કર. જો એ તૈયાર થઈ જાય તો પછી આગળ વધ, અને તેના મિત્રને કહ્યું, તું ટકાવારીની ચિંતા છોડીને શાંત ચિત્તે મહેનત કર. ચિંતા એ ચિતા સમાન હોય છે, જે લાકડીને નહિ માનવને ભરખી જાય છે અને કુઆર્નની આયતનો ભાવાર્થ સમજાવતાં કહ્યું. આ અલ્લાહનો નિયમ વ્યક્તિ જેવી મહેનત કરશે તેને તેવો ફળ મળશે અને કદાચ તારા ટકા ઓછા આવે તોય ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટર અને એન્જીનિયર બનવાનું નામ જ સફળતા નથી. બીજા ઘણા બધા હ્યુમનિટીઝના વિકલ્પો છે જેમાં તું તારી સારી કારકિર્દી બનાવી શકે છે. અને દેશ ચલાવવામાં હ્યુમનિટીઝના વિદ્યાર્થીઓ જે ભાગ ભજવે છે તે ડૉક્ટર – એન્જીનિયર ભજવી શકતા નથી. વ્યક્તિને ટકાવારીની સ્પર્ધામાં નહિ સારા માનવ બનવાની સ્પર્ધામાં ઊતરવું જોઈએ. ઋષિ-મુનિઓ જ નહિ વર્તમાન સદીમાં પણ વિવિધ વિભાગોમાં નામના મેળવનારી વિભૂતિઓ છે જેમણે સ્કૂલ-કોલેજની પરીક્ષા આપી નથી પરંતુ તેમણે વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. દરેક બાબતમાં સ્પર્ધાની નહિ સહકારની ભાવના પેદા કરો. એના ઘણા દાખલા છે જેઓ બહુ ભણ્યા નથી પરંતુ તેમણેે સમાજ માટે ઘણું બધું કર્યું. જો તમે આ કસોટીમાં સફળ થાવ તો વિદ્યાર્થીકાળની કસોટીમાં સફળ થયા કહેવાશો. અને હા પરીક્ષામાં સારી પ્રદર્શનની ઝંખનામાં ખાવા અને ઊંઘવાનું ન ભૂલતા. અપરિપૂર્ણ ઊંઘ વ્યક્તિને આળસુ અને રોગી બનાવી દે છે. અને ખોરાકની કમી ર્નિબળતા ઉત્પન્ન કરે છે. જેનો પ્રત્યક્ષ પ્રભાવ તમારા રોજિંદા જીવન પર પડશે. તેમના સમયની કિંમત જોઈ લાંબું બોલવાનું ટાળ્યું અને ત્યાંથી સીધો લાઇબ્રેરિયન પાસે પહોંચ્યો અને લાઇબ્રેરી વિશે વાતો કરવા લાગ્યો. તેમણે જણાવ્યુંં કે સમગ્ર વર્ષ વિદ્યાર્થીઓ બહુ આવતા નથી પરંતુ પરીક્ષાના સમયે બધી સીટ ભરાઈ જાય છે. બલ્કે વધારાના વિદ્યાર્થીઓ સંકુલ બહાર ગાર્ડનમાં બેસીને વાંચે છે.

લાયબ્રેરિયનની ભાષા જમણી બાજુ દીવાલ પર ફ્રેન્ચ ભાષાનું એક વાક્ય લખ્યું હતું, ‘જો તમે સફળતા મેળવવા ઇચ્છો છો તો કોલેજ જાવ અને શિક્ષિત થવા માગો છો તો લાયબ્રેરી જાવ’. મે કીધું સાહેબ આ લખેલી વાતમાં અમુક સચ્ચાઈ છે, પરંતુ આપણને વિદ્યાર્થીઓને કઈ રીતે વિચારવું એ શિખવાડવાની જરૂર નથી. શું વિચારીએ એ સમજાવવાની જરૂર છે. આ શિક્ષણની કસોટી છે કે તે વિદ્યાર્થીની કેળવણી કઈ રીતે કરે છે. શિક્ષકોને એ વાત યાદ રાખવી જોઈએ કે મૂલ્યો વગરનું શિક્ષણ મનુષ્યને શાણો રાક્ષસ બનાવે છે. વર્ગના કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એ શિક્ષણની સફળતાનું માપદંડ હોવું જોઈએ પરંતુ એ કે તે વિદ્યાર્થીઓમાં ઇન્ટેલિજન્સની સાથે તેમનું કેટલું ચરિત્ર ઘડતર કરે છે તે શિક્ષણને પારખવાની કસોટી હોવી જોઈએ. સાહેબે કંઇ બોલ્યા વગર મારી સાથેે સંમતિ દર્શાવી.

આપણી શિક્ષણ વ્યવસ્થાને રિડિફાઇન કરવાની જરૂર છે. તે માત્ર માર્કેટ ઓરીએન્ટેડ મશીન (મેનપાવર) તૈયાર કરી રહ્યું છે અને તેની અસર બીજા ક્ષેત્રોમાં પણ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જ નહિ સામાન્ય માણસ પણ જાહેરાત અને પબ્લિસીટીથી અંજાઈ મૂર્ખ બને છે. જ્યારે કે બધા જાણે છે ‘ચળકે બધુ સોનું નથી હોતું.’ હવે તમે આજકાલની રાજનીતિ ને જ જોઈ લોને. વિચારધારા જ નથી. પાર્ટીઓ પણ વ્યક્તિ આગળ નાની લાગે છે. વ્યક્તિ આધારિત ચૂંટણી હોય તેવું લાગે છે. જૂઠાણાની એક લાંબી શ્રૃંખલા છે જેનાથી પ્રેમને મૂર્ખ બનાવી રહ્યા છે. વિકાસના નામે નાગરિકોને દિશાહીન કરવામાં આવી રહ્યા છે. સાહેબે કીધું પરંતુ વિકાસ તો દેખાઈ રહ્યો જ છે ને અને વધુમાં તમે જુઓ લાંબા સમયથી ગુજરાતમાં રમખાણો પણ થયા નથી. બીજું શું જોઈએ. માનસ બદલ્યું છે કે સત્તા હાંસલ કરવા માટેની કૂટનીતિ. એ બાબતે વિચાર કરવો જોઈએ અને વિસ્તારમાં ‘ભાઈ’ના ‘કુકર્મો’થી બચવા તેમને નેતૃત્વ આપવું માનવીય સમાજની ઘોર ખોદવા સમાન છે. દુકાનમાં હજારનો માલ હોય અને લાખનું દેવું હોય તો સારા ડિસ્પ્લે કરવાથી વાસ્તવિક્તા બદલાતી નથી. ગુજરાતમાં તો મૂડીવાદીઓને જ લીલા લહેર છે. બાકી રહ્યું ભ્રષ્ટાચારનું તો એ તો બધે કોમન છે. જેને જેટલો અવસર મળ્યો એટલું તેમણે લૂંટ્યું. સામાન્ય જનમાં આજકાલ આ ચર્ચા છે કે મોટી મોટી જાહેરાતો, જુઠ્ઠાણાઓ, પેડ-ન્યૂઝ વડે જે કરોડોના ખર્ચા કરી રહ્યા છે વાસ્તવમાં તેમને તેઓ ઇન્વેસ્ટમેન્ટ ગણે છે. જનો બદલો સત્તા મળતા જ મળી જશે. પીડિતો, વંચિતો પાસે છે શું ? ન તેમની પાસે કોઈ શક્તિ છે, ન દોલત. એટલે જ આપણી સરકાર આરબપતિઓના ઇશારે ચાલે છે. મારા મગજમાં એક પ્રશ્ન આવ્યો! મે કીધું કે સાહેબ, રામાયણમાં લંકા અને રાવણ વિશે શું આવ્યું છે ? સાહેેબે કીધું મેં ઉંડાણપૂર્વક વાંચ્યું નથી. પરંતુ એટલી ખબર છે કે લંકાને સોનાની નગરી કહેવામાં આવતું હતું અને રાવણ તો મોટો જ્ઞાની હતો. મેં તરત સાહેબને પ્રશ્ન કર્યો, તો પછી સાહેબ વિકાસ પુરુષ રાવણ કે જેમણે લંકાને સોનાની બનાવી હતી તેને શું કામ હનુમાનજીએ આગ આપી અને શા કારણે રામજીએ રાવણનો વધ કર્યા. તે સત્ય પણ હોય આજે તો કળિયુગ ચાલે છે. મનુુષ્યને જીવનની પ્રાથમિક જરૂરિયાત મેળવવાનો અધિકાર છે. પછી કોઈ કોમવાદી અને ફાસીવાદી પરિબળને સત્તા કઈ રીતે આપી શકાય. દેશમાં પ્રેમ, ભાઈચારા, સૌહાર્દ અને સદ્‌ભાવનાની લાગણી હોવી જોઈએ, જેની આશા કોમવાદી સરકારથી રાખી ન શકાય. આ પાયાની જરૂરત પૂર્ણ થાય પછી જ કહેવાતો વિકાસ કામનો. સાહેબ ભૂખ્યાને રોટીની જરૂર હોય છે સોના કે ઝવેરાતની નહિ. નિર્વસ્ત્રને કપડાની જરૂર છે મોટી ઇમારતોની નહિ. વંચિતને સહારાની જરૂર છે એકમો બાંધવાની નહિ. પાયાની જરૂરતો પૂર્ણ થાય તો પછી વિકાસ કામનો કહેવાય. આ એટલા માટે કહી રહ્યો છું કે આપણા ગુજરાતમાં સ્ત્રીઓ-બાળકોમાં કુપોષણની સમસ્યા ગંભીર છે. હ્યુમન ઇન્ડેક્ષ ઘણો પાછળ છે. દેશમાં સૌથી વધુ દેવું ગુજરાતના માથે છે. વીજળી અને પેટ્રોલ તમામ રાજ્યોની સરખામણીમાં અહીં મોંઘા છે વગેરે. સાહેબે કીધું વાત બરાબર છે પરંતુ આપણા દેશની જનતા ભોળી છે. ધર્મના નામે છેતરાઈ જાય છે અથવા અન્ય બેચારા ગરીબો દારૂની બોતલ કે નજીવી રકમમાં મત વેચી નાખે છે. તેઓ સમજે છે કે જીત્યા પછી કોઈ આપણી ચોખટે આવવાનો નથી. એક દિવસ ભરાતું હોય તો આપણે શું. મેં કીધું સાહેબ જ્યાં સુધી આપણે શક્તિ હોય તે લોકોને સમજાવવાની જરૂર છે. ઈમાનદાર હોય (અન્યની સરખામણીમાં) આ નાગરિકોની કસોટી છે કે તેઓ શું ર્નિણય લે છે. સાહેબે કીધું મેં તો વિદ્યાર્થીઓને પણ કહી દીધું છે કે પરીક્ષા બાબતે ઊંઘી જાવ તો એક વર્ષ ભોગવવું પડશે પરંતુ મત બાબતે ઊંઘી ગયા તો પાંચ વર્ષ ભોગવવું પડશે. મે કીધું સાહેબ રીયલી તમે સચોટ વાત કરી છે. પરંતુ એક બીજી મહત્ત્વની વસ્તુ વિદ્યાર્થીઓને નહિ પરંતુ સામાન્ય વ્યક્તિને પણ સમજાવવાની જરૂર છે કે વૈચારિક અને આસ્થાકીય રીતે ઊંઘતા રહી ગયા તો જીવન નિરર્થક બની જશે. જીવનની કસોટીમાં સફળ થવામાં શ્રદ્ધામાં સચ્ચાઈ હોવીં ઘણી જ જરૂરી છે.

સાહેબે પ્રશ્ન કર્યો કઈ સમજાયું નહિ. મે કહ્યું કે જો વિદ્યાર્થીઓ સફાળા જાગી જાય તો તેઓ કસોટીમાં સફળ થઈ શકે છે અને જો કદાચ તેમને સફળતા ન મળે તો પણ આગલા વર્ષે ફરીથી પરીક્ષા આપવાની તક મળે છે અને નાગરિકો સમજી વિચારીને મતદાન કરે સારો માનવપ્રિય, ન્યાયપ્રિય, તટસ્થ, ધર્મ પ્રત્યે સદ્ભાવ દાખવનારો, સેવાભાવી, નિઃસ્વાર્થ વ્યક્તિને ચૂંટશે તો દેશ સાચા અર્થમાં પ્રગતિ કરશે. સમૃદ્ધિ કરશે, વેરભાવના ખત્મ થશે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળશે એનો જો લોભ લાલચ કે ભય-ડરના કારણે કોમવાદી, ક્રિમિનલ, પક્ષપાતી અને સત્તા લોભી વ્યક્તિને મત આપશે તો આવતા પાંચ વર્ષ તેને જ ભોગવવાનું આવશે અને આ પરિસ્થિતિમાં ઘણું બધંુ ગુમાવ્યું છે એવી અનુભૂતિ થશે, અને આવું જ જીવનની બાબતમાં છે. શ્રધ્ધા સત્ય આધારિત હોય કર્મ નિખાલસ હોય તો જીવન સમૃદ્ધ થશે. વ્યક્તિ એક અલ્લાહ ઉપર ઈમાન ધરાવે છે, તેના રસૂલો દ્વારા મળેલા માર્ગદર્શન મુજબ જીવન વ્યતીત કરે અને આખિરતમાં જન્નત-જહન્નમના દૃષ્ટિકોણને અપનાવી જીવનને સુશોભિત કરેે. અલ્લાહની પ્રસન્નતા અને જન્નતના અકલ્પનીય પારિતોષિકને પામવા સારા કર્મો કરે, લોકોની સેવા કરે, પ્રેમ-ભાઇચારાની જ્યોત પ્રગટાવે, દુઃખિયારા, અનાથો, વિધવાઓ, નિઃસહાયો અને વંચિતોનો સહારો બને. તથા જહન્નમની હંમેશાં હંમેશની યાતના અને પીડાથી બચવા અલ્લાહની અવજ્ઞા કરવાથી ડરે. જુલ્મ, અત્યાચાર, અન્યાયથી દૂર રહે. ર્શિકથી પોતાના પાલવને પવિત્ર રાખે તો તેનું જીવન સફળ થશે નહિતર જહન્નમની અગ્નિ તેની ચામડી અને આંતરડાઓને બાળી નાંખશે. તે મૃત્યુની તમન્ના કરશે પરંતુ મૃત્યુનું અસ્તિત્વ ખત્મ થઈ ચૂક્યું હશે અને આ જીવન એક જ વાર મળ્યું છે તેને બીજો કોઈ અવસર નહિ મળે અને અલ્લાહ ન કરે કે કોઈ વ્યક્તિ સત્યથી ગાફેલ થઈને મોતને ભેટશે તો તે જીવનમાં બધું જ ગુમાવ્યું છે, તેનો અહેસાસ થઈ જશે, અને મેં સાહેબને ‘ઇસ્લામ દર્શન’ પુસ્તક ભેટ આપીને વિદાય લીધી.

વાંચક મિત્રો, આ ત્રણ કસોટીઓ છે જેમાં ક્યાંકને ક્યાંક વ્યક્તિ ઝઝૂમી રહી છે, જેમાં અવસર જેટલા ઓછા છે તેનું મહત્વ એટલું વધારે છે. કોઈ બુદ્ધિમાન વ્યક્તિ કિંમતી વસ્તુની બેદરકારી કરતી નથી. તેથી સાવચેત રહેજો, જીવનની આ કસોટી પૂર્ણ ન થઈ જાય. તમે ઉંમરના જે સ્થાને હોવ ત્યાંથી જ વિચારજો કેમકે મૃત્યુનો કોઈ સમય નિશ્ચિત નથી, તે ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે ઉંમરે આવી શકે છે, તો મારી દિલી ઇચ્છા છે કે એનાથી પહેલા કે જીવનનો અંત આવે આપણે આજેય ઓછામાં ઓછા પાસીંગ માર્ક્સ લાવવાની તૈયારી કરી લઈએ. તમે જુઓને આપણો પરમ કૃપાળુ અલ્લાહ આપણને ક્ષમા કરવા બિલકુલ તૈયાર છે. ચાલો સાચા મનથી એક વાર કહીએ, હે અલ્લાહ! તું અમને ક્ષમાકર, નિઃશંક તારા સિવાય કોઈ ઉપાસ્ય નથી. તું એકલો અને અદ્વિતીય છે. અને હું સાક્ષી આપું છું કે તે આદમ અલૈ.થી અંતિમ પયગમ્બર સ.અ.વ. સુધી જે પયગંબરો મોકલ્યા છે તેઓ બધા સત્ય માર્ગદર્શન લઈને આવ્યા હતા. હું બધાને સમાન રીતે સ્વીકારૂં છું અને પ્રતીજ્ઞા લઉં છું કે તારા પયગમ્બરો થકી જે વિશુદ્ધ અને પવિત્ર અંતિમ માર્ગદર્શન મને મળશે, હું તેના આદેશોનું પાલન કરીશ. હે અલ્લાહ, મારા જીવનને સાર્થક કરજે અને મને તમામ કસોટીમાં સફળ બનાવજે. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here