‘વહીવટી તંત્ર સમયસર અને યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે’ : નૂહ કોમી હિંસા પર સત્ય-શોધ સમિતિનો અહેવાલ

0
48

એસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્‌સ (APCR)ની ૧૧-સદસ્યની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે હરિયાણામાં સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વાસ્તવિકતાઓ અને વિસ્તારોમાં પ્રવર્તમાન તણાવ તેમજ કાયદાના અમલીકરણની ભૂમિકાની તપાસ કરી હતી. આ ફેક્ટ ફાઇન્ડિંગ ટીમે આ વિસ્તારમાં કામ કરતા જવાબદાર રહેવાસીઓના નિવેદનો તેમજ નૂહ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓના અસરગ્રસ્ત પરિવારોના એકાઉન્ટ્‌સ રેકોર્ડ કર્યા હતા.

કોમી અથડામણની પૃષ્ઠભૂમિ
૩૧ જુલાઈના રોજ, હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ (BD) દ્વારા આયોજિત એક હિંદુ સરઘસ પછી સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, આ બંને સંગઠનો શાસક ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા છે. આ હિંસા બાદ, નૂહ અથડામણના જવાબમાં મુસ્લિમ વિરોધી હિંસાના ઘણા કિસ્સાઓ હરિયાણાના વિવિધ ભાગો જેમ કે સોહના, ગુરૂગ્રામ, પલવલ, બહાદુરગઢ અને ફરીદાબાદમાં નોંધાયા હતા. આ હિંસામાં બે પોલીસ સહિત છ લોકો માર્યા ગયા હતા. ગુરૂગ્રામમાં એક ટોળાએ ૨૨ વર્ષીય મુસ્લિમ ધર્મગુરૂની છરી મારીને હત્યા કરી હતી. મુસ્લિમોના બહિષ્કારની હાકલ કરતી નફરતની સભાઓ જુદા જુદા શહેરોમાં યોજવામાં આવી હતી.

હિંસા દરમિયાન વહીવટી કાર્યવાહી અને નિષ્ક્રિયતા
ફેક્ટ-ફાઇન્ડિંગ રિપોર્ટ અનુસાર, મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગી દ્વારા શેર કરાયેલ દ્વેષપૂર્ણ ભાષણો અને ઉશ્કેરણીજનક વીડિયો સહિત સંભવિત અશાંતિની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, વહીવટીતંત્ર સમયસર અને યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ અસમર્થ હતી, આનાથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં અને સાર્વજનિક સંપત્તિનું રક્ષણ કરવામાં વહીવટીતંત્રની નિષ્ફળતા છતી થઈ છે. જુલાઈ ૩૧ના રોજ હિંસા પૂર્વયોજિત હતી અને તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, બહુવિધ સાક્ષીઓએ હિંસામાં પોલીસની ભાગીદારી તરફ ધ્યાન દોર્યું હતું. વીડિયો અને નિવેદનો સૂચવે છે કે પોલીસે તોફાનો દરમિયાન તોડફોડ, વિનાશ અને ધાકધમકીમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

નૂહમાં મુસ્લિમોની લક્ષિત ધરપકડ
તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિંદુઓની કોઈ પણ સંભવિત સંડોવણીને અવગણીને મુસ્લિમોને નિશાન બનાવીને પોલીસ ધરપકડ પક્ષપાતી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ધરપકડ કરવા માટેના આ વિકૃત અભિગમે સમુદાયો વચ્ચેના વિભાજનને વધુ ઊંડું બનાવ્યું છે. ૭૭ વર્ષીય મકાનમાલિક ચૌધરી શફાઅતનો આરોપ છે કે પોલીસ તેમના ગામમાં મનસ્વી ધરપકડ કરી રહી છે. ધરપકડ કરાયેલા લોકોને તેમના પરિવારજનોને જાેવાની મંજૂરી આપવામાં આવી નથી. ડરને કારણે, પીડિતોના પરિવારોએ તેમની ફરિયાદની જાણ કરી ન હતી. જાન મોહમ્મદના પુત્ર શાહરૂખની ૧ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નૂહ પોલીસ સ્ટેશને શાહરૂખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટની જાેગવાઈઓ લાગુ કરી હતી. રહેવાસીઓમાં વ્યાપક ભય છે, જે મુસ્લિમોમાં અધિકારીઓમાં અસુરક્ષા અને અવિશ્વાસની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે નૂહમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ચૌધરી આફતાબ અહેમદ સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે પહેલાં લોકો આગળ આવતા ન હતા, પરંતુ હવે લોકો ફરિયાદ લઈને આગળ આવવા લાગ્યા છે. મોનુ માનેસર વિશેના પ્રશ્નોના સંદર્ભમાં, તેમણે કહ્યું કે હરિયાણા સરકાર નથી ઈચ્છતી કે તેની ધરપકડ કરવામાં આવે. હિંસા બાદ, યોગ્ય કે પૂરતા દસ્તાવેજ ન હોવાના બહાના હેઠળ મુસ્લિમ લઘુમતીની મિલકતોને તોડી પાડવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા હિંસા અને અનુગામી કાર્યવાહીને કારણે સમુદાયને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. ઘણા વ્યવસાયો નાશ પામ્યા છે, અને તે મુસ્લિમ વસ્તીમાં આજીવિકાને અસર કરે છે. સત્તાવાળાઓએ એવો દાવો કરીને ડિમોલિશનને યોગ્ય ઠેરવ્યું હતું કે મિલકતોના પૂરતા દસ્તાવેજાેનો અભાવ હતો, જેનું એડવોકેટ હુસૈને ભારપૂર્વક ખંડન કર્યું હતું. અધિકારીઓનો આરોપ છે કે તોડી પાડવામાં આવેલ માળખા સરકારી જમીન પર બાંધવામાં આવ્યા હતા અને તાજેતરના કોમી અથડામણ દરમિયાન શંકાસ્પદ લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો અત્યાર સુધી કોઈ આધાર હોવાનું સાબિત થયું નથી. ૨૨ વર્ષીય મુસ્લિમ મૌલવીની હત્યા અંગે, ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે ૨ ઓગસ્ટના રોજ ગુરૂગ્રામમાં પોલીસ કમિશનર સાથે વાત કરી, જેમણે તેમને જાણ કરી કે ૫૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here