એક સમાચાર… એક દૃષ્ટિકોણ

0
158

અગાઉ પણ એક હુલ્લડ થયું હતું
વિશ્વના મોટા ભાગના શાસક વર્ગ વિષે ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે તેઓ ખૂબ જ જિદ્દી હોય છે, વાત વાતમાં પોતાની વાત પર અડી જાય છે,અને તેને ખૂબ મોટી સમસ્યા બનાવી દે છે. કેટલાક ઉદાહરણો અહીં પણ જોવા મળે છે. લગભગ ત્રીસ વર્ષ પહેલા મુરાદાબાદની ઈદગાહ પર ઈદની નમાઝ માટે નમાઝીઓ એકઠા થયા હતા ત્યારે તેમની વચ્ચે એક દુષ્ટ પ્રાણી ઘૂસી આવ્યું અને નમાઝીઓ ઉશ્કેરાઈ ગયા. ઘણાએ વિચાર્યું કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. મુસ્લિમોમાં પરસ્પર ચર્ચા ચાલી જ રહી હતી કે અચાનક પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લાઠીચાર્જ શરૂ કર્યો. મામલો વધી ગયો. શહેરમાં હુલ્લડ શરૂ થઈ ગયું. વી.પી. સિંહ મુખ્યમંત્રી હતા, તેમણે તરત જ રમખાણને કાબૂમાં લઈ લીધું, પરંતુ શહેરમાં તણાવ વધી ગયો હતો, કેટલાક તોફાની અને અસામાજિક તત્ત્વો પણ રમખાણમાં જોડાઈ ગયા. કેન્દ્રમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. મુસ્લિમ નેતાઓ અને અન્ય ઘણા નેતાઓએ વડાપ્રધાનને તાત્કાલિક મુરાદાબાદ જવાની અપીલ કરી હતી. પરંતુ તેમણે અપીલને ફગાવી દીધી, જવાબ આપ્યો કે મુખ્યપ્રધાન અને જિલ્લા સત્તાવાળાઓ પરિસ્થિતિને સંભાળી રહ્યા છે, પાછળથી મહત્ત્વપૂર્ણ નેતાઓના આગ્રહ અને મુખ્યપ્રધાનની અપીલ પર, ઇન્દિરા ગાંધી સંમત થયા અને મુરાદાબાદની મુલાકાત લીધી. કેટલાક પીડિતોની ફરિયાદો સાંભળી અને ગુનેગારો સામે પગલાં લેવાનું વચન આપ્યું. વડાપ્રધાને પીએસીની કાર્યવાહીની નોંધ લીધી અને મુખ્યપ્રધાનને પગલાં લેવા સૂચના આપી હતી. વી.પી.સિંહે આની નોંધ પહેલાં જ લઈ લીધી હતી. નમાઝીઓ ખાલી હાથે જ હોય છે. તેઓ સ્નાન કરીને સ્વચ્છ થઈને ઈદગાહ ગયા હતા. કેટલાકની સાથે નાના બાળકો પણ હતા. પીએસીએ આ લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

મુરાદાબાદ અને મણિપુર
હવે એક નવી ઘટના સામે આવી છે. પૂર્વ ભારતના નાના રાજ્ય મણિપુરમાં બે જાતિઓ વચ્ચે લોહિયાળ રમખાણો ફાટી નીકળ્યા. તેની શરૂઆત ૩ મેના રોજ થઈ હતી પરંતુ વડાપ્રધાને ૭૮માં દિવસે તેની નોંધ લીધી હતી. તે પણ સર્વોચ્ચ અદાલતના આદેશ પર, અન્યથા તેમને વારંવાર મણિપુર માટે સમય કાઢવા માટે કહેવામાં આવ્યું, પરંતુ વડાપ્રધાને આની અવગણના કરી. આ દરમિયાન તેમણે ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયા ગયા, અમેરિકા ગયા, ઇજિપ્ત ગયા, ફ્રાન્સ ગયા પણ મણિપુર જવાનો સમય ન મળ્યો. એક અત્યંત શરમજનક અને અમાનવીય વીડિયો વાયરલ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમના કાનમાં તેનો અવાજ સંભળાયો. તેમાં આદિવાસી જાતિની બે મહિલાઓને નગ્ન કરીને જાહેર રસ્તા ઉપર પરેડ કરાવવામાં આવી હતી. બાદમાં તેમની સાથે સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશ-વિદેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો ૩ મેનો છે પરંતુ રમખાણો શરૂ થયાના સિત્તેર દિવસ બાદ ૨૦ જુલાઈના રોજ વાયરલ થયો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને આના પર તાત્કાલિક પગલાં લેવા કહ્યું, અને જો નહીં લો, તો અમે પગલાં લઈશું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સાંભળ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે મણિપુરની ઘટનાઓથી મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમના આઠ સેકન્ડના ભાષણ પછી, તેઓ તેમની દરરોજની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા. સ્વતંત્ર નિરીક્ષકોનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટની કડક ફટકાર ન પડી હોત તો વડાપ્રધાનના હજુ પણ ટસથી મસ થવાના ન’હોતા. જ્યાં સુધી વડાપ્રધાનના વર્તનની વાત છે તો આ ઘટના મુરાદાબાદ કરતાં પણ વધુ ગંભીર છે. ઇન્દિરા ગાંધી સમક્ષ કોઈ એજન્ડા ન હતો, જ્યારે અહીં મણિપુરમાં વડાપ્રધાન સમક્ષ કોઈ એજન્ડા હોય તેવું લાગે છે.

આદત જૂની છે
અને વર્તમાન વડાપ્રધાનનું આ વર્તન પહેલીવાર બહાર આવ્યું નથી, તેમનું વર્તન સતત આમ જ રહે છે. સામાન્ય લોકો દસ વર્ષથી જોઈ રહ્યા છે. આ પહેલાં તેઓ સંઘના પ્રચારક અને મુખ્યમંત્રી હતા. નિરીક્ષકો જણાવે છે કે તે આવું જ વર્તન કરતા હતા. છેલ્લા દસ વર્ષમાં દુનિયાએ શું નથી જોયું, કહેવાતા ગૌરક્ષકોના હાથે મોહંમદ અખલાકની હત્યા અંગે કશું કહ્યું ન હતું. તેમના વતી અરૂણ જેટલીએ વાત કરી હતી. જે લોકો પૈસા ભેગા કરીને દેશ છોડીને ભાગી ગયા છે તેમના વિશે તેમણે કોઈ વાત કરી નથી. અદાણી સાથેની તેમની ચર્ચા અંગે તેઓ હજુ પણ મૌન છે. તેઓ કુસ્તીબાજ છોકરીઓના ધરણા પર હજુ પણ મૌન છે, એવી ઘણી ઘટનાઓ છે જેના પર વડાપ્રધાને બોલવું જોઈતું હતું પરંતુ તેઓ બોલ્યા નહીં. સમજાતું નથી કે તેમને શાનું અભિમાન છે? જો અભિમાન બહુમતનું છે તો રાજીવ ગાંધીનું ભાગ્ય સૌની સામે છે. લોકસભામાં ચારસો બેઠકો જીતવા છતાં તેઓ બીજી ટર્મમાં નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન મોદીની જન્મદાતા અને સંઘના વડા પોતે જ આ સ્થિતિ અંગે ફરિયાદ કરી રહ્યા છે. જાણકાર નિરીક્ષકોના મતે તેઓ વડાપ્રધાનના વર્તનથી સંતુષ્ટ નથી. હવે એ જાણવા મળ્યું નથી કે સંઘે આ સંબંધે વડાપ્રધાન સાથે વાત કરી છે કે નહીં. જો કે એ હકીકત છે કે વડાપ્રધાનનો આ મિજાજ ખુદ સંઘે બનાવ્યો છે. તેમની સમગ્ર તાલીમ સંઘના વાતાવરણમાં થઈ હતી. તેમનો ઉછેર શાખાઓએ કર્યો છે. તેથી જો સંઘ આજે વડાપ્રધાનથી નિરાશ છે, તો તે જ જવાબદાર છે. વડાપ્રધાનનું વર્તન દર્શાવે છે કે તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. એવો સમય પણ આવી શકે છે કે જ્યારે તેઓ સંઘને પણ અલગ કરી દે અને સમાંતર સંગઠનની સ્થાપના કરી દે.. (સાભાર, દા’વત સાપ્તાહિક)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here