હજુ સુધી યાદ છે

0
52

મુસલમાન હોવું ગૌરવપ્રદ

વિશ્વનો એ કયો મઝહબ છે જે એમ શિખવતો હોય કે હે મનુષ્ય ! આ તમામ ચીજો તારી સેવા અને ખિદમત માટે છે. તો તેનાથી કામ લે, આ તારાથી નિમ્ન છે. તેમના સામે મસ્તક નમાવવું અને તેમની પૂજા કરવી તારૂં અપમાન છે.

સૈયદ રિઝવી સાહેબ ડેપ્યુટી ઇન્સપેકટર ઓફ સ્કૂલના હોદ્દાની રીતે મારા અધિકારી હતા. ઉંમરની રીતે મારા વડીલ અને સંબંધોની રીતે મારા મિત્ર હતા. નિરીક્ષણ કરવા આવતા તો મારા ત્યાં જ રહેતા અને એટલા હળીમળીને રહેતા કે મારો દીકરો તેમના ખોળામાં રમતો અને કયારેક તેમના સાથે સૂઈ પણ જતો.
સ્વભાવની રીતે રિઝવી સા.ખૂબ નરમ,અખ્લાકી રીતે ખૂબ નેક, હોદ્દાના સંબંધે ફરજનિષ્ઠ અને સંબંધો સારી રીતે જાળવતા. હિંદુ, મુસ્લિમ અને પછાત તમામ લોકો તેમનું માન રાખતા, સન્માન કરતા અને તેમનાથી મુહબ્બત કરતા. અમુક તો એટલી હદ સુધી સન્માન કરતા કે ખુશામતની હદ સુધી પહોંચી જતા.
ખુદા જાણે લોકોનો આ દિલથી પ્રતિભાવ હતો કે ખુશામત હતી કે વધારે પડતી વાત હતી, પણ અમુક લોકો તો તેમને દેવતા સુદ્ધાં કહી દેતા અને અમુક તો એવા વિચારો પણ દર્શાવવાનું ન ચૂકતા કે મુસલમાન પરિવારમાં પેદા થવું રિઝવી સા. જેવા ભલા માણસનું અપમાન છે.
હું સમજું છું કે આ માનસિકતા ધરાવતા લોકોના નજીક રિઝવી સા.ના અત્યંત વધારે પડતા વખાણ હતા. જો કે આવી વાત ખુદાની જાત અને તેના અલૌકિક ગુણો પર એક અયોગ્ય હુમલો હતો. એ ખુદાની જાત પર જે બધાનો ખુદા છે. કોઈ ભલે તેને અલ્લાહના નામથી યાદ કરે કે ઈશ્વર કહે કે ગોડ કહે અથવા કોઈ બીજા સારા નામે પોકારે મને ખબર છે રિઝવી સા.ને પોતાની પ્રશંસા ગમતી ન હતી. મોટાભાગે યોગ્ય અંદાજમાં વ્યક્તિને ટોકી દેતા અને વાતને બીજી તરફ વાળી દેતા. એકવાર મારા ત્યાં રોકાણ વખતે ખુદ મારાથી તેમણે એક એવા પ્રસંગનુ વર્ણન કર્યું જે મને હજુ યાદ છે.
વાત એમ થઈ કે એક દિવસ આવ્યા તો ઇસ્લામની મહાનતા અને ગૌરવ સંબંધે વાતચીત શરૂ કરી તે પછી કહેવા લાગ્યા :
“ભાઈ ! આજે પંડિતજીથી ખૂબ દીલચશ્પ વાતચીત થઈ. આ વાતચીત એક મુસલમાન માટે ઈમાનવર્ધક પણ છે અને કદાચ તમને પસંદ પણ પડશે.”
મેં કહ્યું કે હા, હા, ફરમાવો સાંભળીએ તો તેમણે શું કહ્યું :
“પંડિતજીની દીકરીની શાદી થવાની છે. પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉઠાવવા માંગતા હતા. શાદીના દિવસો સમીપ હતાં એટલે ચાહતા હતા કે રૂપિયા જલ્દી મળી જાય. તેઓ સીધા મારા પાસે આવ્યા. મેં તરત જ સમયસર રકમ કઢાવી આપી. તેનો આભાર માનવામાં તો પંડિતજીએ હદ જ કરી નાંખી.
“ડેપ્યુટી સા. ! આપ ઇન્સાન નથી દેવતા છો દેવતા. ઇશ્વરે આપને મુસલમાન પરિવારમાં કોણ જાણે કેમ પેદા કર્યા ? આપને કોઈ મહાત્માના ઘરે પેદા કરવાની જરૂર હતી.”
મને પંડિતજીના આ આભાર શબ્દો જરા પણ પસંદ ન પડયા. મેં વિચાર્યુ કે તેમને સમજાવી દઉં કે મુસલમાન પરિવારમાં પેદા થવું અપમાનજનક નથી બલ્કે ગૌરવપ્રદ છે. તમે સાંભળો છો. મેં તેમને કેવી રીતે સમજાવ્યા ? મેં કહ્યું, હા સાહેબ હું આપની વાત ધ્યાનથી સાંભળું છું કહો રિઝવી સા.એ કહેવાનું શરૂ કર્યુ કે “મેં પંડિતજીને બિલકુલ એવી રીતે સમજાવ્યા જેવી રીતે કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીને પાઠ ભણાવે છે, અને સવાલ-જવાબ દ્વારા વિષયના ભાગો તેમના મનમાં ઉતારવાના પ્રયત્નો કરે છે, જેથી મારી અને તેમની ચર્ચા આ રીતે થઈ :
મેં કહ્યું : “પંડિતજી ! જરા એ બતાવો કે ઈશ્વરે આ સંસારમાં શું શું પેદા કર્યું છે ?”
પંડિતજી : ઈશ્વરે પશુ અને પક્ષી પેદા કર્યા. વનસ્પતિ ઉગાડી. ધરતીમાં ખનીજો ભરી દીધી. ઈશ્વરે હવા, પાણી, માટી અને આગ પેદા કરી અને તેણે જ આ આકાશ અને ધરતી અને તેનામાં જે કંઈ છે તે બધું પેદા કર્યું.”
મેં કહ્યુંઃ આ બધી વસ્તુઓમાં મનુષ્યનું શું સ્થાન છે?
પંડિતજી : મનુષ્ય ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે.
મેં કહ્યું : હા, બરાબર છે તે મનુષ્ય જ છે જે તમામ ખનીજો, વનસ્પતિ, પશુઓને પોતાના કામમાં લાવે છે. ખનીજોમાંથી સોનું, ચાંદી જેવી ધાતુઓના સિક્કા અને ઘરેણાં બનાવે છે, અને બીજી ધાતુઓનો બીજા કામોમાં ઉપયોગ કરે છે. વનસ્પતિમાં અમુક ખાવાના કામમાં આવે છે અમુકમાંથી કપાસ નીકળે છે જેનાથી કપડાં બને છે અમુક જડીબુટ્ટીઓ દવાના કામમાં આવે છે.
એ જ રીતે જાનવરોમાંથી અમુકમાંથી આપણે દૂધ પ્રાપ્ત કરીએ છીએ, અમુકનું માંસ ખાવાના ઉપયોગમાં આવે છે, કોઈ ખેતીના કામમાં આવે છે, કોઈના ઉપર સવારી થાય છે. એટલે આ બધાનો અર્થ તો એ જ છે ને કે આ બધી ચીજો મનુષ્યની સેવા માટે બનાવવામાં આવી છે. મારી વાત બરાબર છે ને પંડિતજી ?
પંડિતજી : હા સાહેબ, નિઃશંક.
મેં કહ્યું : “સારૂં હવે એ બતાવો કે દુનિયાનો એ કયો મઝહબ કે ધર્મ છે, જે એ શિખવતો હોય કે હે મનુષ્ય ! આ બધી ચીજો તારી ખિદમત અને સેવા માટે છે, તો તું તેમનાથી કામ લે, આ બધા તારાથી નિમ્ન છે, તેમના સામે મસ્તક નમાવવું કે તેમની પૂજા કરવી એ તો તારૂં અપમાન છે ને ?
રિઝવી સા.એ કહ્યું કે મારા આ સવાલ પર પંડિતજી ચૂપ થઈ ગયા તો મેં પોતે કહ્યું : “પંડિતજી ! દુનિયામાં માત્ર ઇસ્લામ જ એ ધર્મ છે જે મનુષ્યને તેનું સાચું સ્થાન બતાવે છે. નહીંતર બીજા ધર્મો તો એ જ ચીજો સામે મસ્તક નમાવવાની તાલીમ આપે છે. ઉદાહરણ તરીકે આપના જ ધર્મની વાત કરૂં છું. આપનો ધર્મ પથ્થર, વૃક્ષ, પશુઓ, પાણી, નદીઓ, સૂર્ય અને કોણ જાણે કોના કોના સામે દંડવત થવાની તાલીમ આપે છે. જો કે આપ જાણો છો કે આ તમામ ચીજો મનુષ્ય કરતાં ઘણા નિમ્ન દરજ્જા ધરાવે છે. શું પોતાનાથી ઊતરતી કક્ષાના સામે નત્‌મસ્તક થવું અને તેને પૂજ્ય બનાવવું કોઈ ગૌરવની વાત છે ?
પંડિતજી ! ઇસ્લામ તો મનુષ્યને આત્મગૌરવ પ્રદાન કરે છે અને તેની જ તાલીમ આપે છે.
રિઝવી સા. એ મને કહ્યું કે મારી આ વાત પછી પંડિતજીએ કોઈ જવાબ ન આપ્યો. પણ હું માનું છું કે એમનું દિલ ઇસ્લામની મહત્તા, અને કદર તેમજ કિમત સમજી ચૂકયું હતું. રિઝવી સા. આ વાતચીત સંભળાવીને ચૂપ થઈ ગયા.
પણ હું મારી જગ્યાએ સતત વિચારતો રહ્યો કે કેટલી સરળ અને સરસ પદ્ધતિથી રિઝવી સા. એ એક સમસ્યાનો ઉકેલ લાવી દીધો અને પંડિતજીને ઇસ્લામનું મહત્ત્વ અને માનવ ગૌરવ શામાં છે તે સમજાવી દીધું.
(અનુવાદ અને પૂરવણીઃ મુહમ્મદ અમીન શેઠ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here