અહમદાબાદ: આજના યુવાનો જીવનમાં અનેક પડકારો, ગેરમાર્ગે દોરતા આકર્ષણો અને ઓળખના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે, રસૂલુલ્લાહ ﷺ નું જીવન તેમને માટે માર્ગદર્શન બની શકે છે. કુર્આનમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “રસૂલુલ્લાહ ﷺ નું જીવન તમારા માટે શ્રેષ્ઠ નમૂનો છે.” આ સંદેશને કેન્દ્રમાં રાખીને, યુટ્યૂબ પર એક ખાસ પોડકાસ્ટ રજૂ થયો, જેના હોસ્ટ અરશદ હુસૈન છે. આ પોડકાસ્ટમાં મહેમાન તરીકે જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા હાજર રહ્યા. તેઓ એક શાયર, દાઈ, ડૉક્ટર અને યુવાનોના દિલમાં ખાસ સ્થાન ધરાવતા વડીલ છે.
પોડકાસ્ટમાં ચર્ચા કરવામાં આવી કે રસૂલુલ્લાહ ﷺ પ્રત્યેની મહોબ્બત માત્ર લાગણીમાં સીમિત ન રહે, પરંતુ આજ્ઞાપાલન અને જીવનમાં અમલ રૂપે દેખાવી જોઈએ. યુવાન સહાબાઓ જેમકે, હઝરત અલી, હઝરત જાફર તય્યાર, હઝરત બિલાલ, હઝરત મુઆઝ બિન જબલ અને હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદિ.)ના ઉદાહરણોથી સમજાવવામાં આવ્યું કે યુવાનો માટે સાચો રોલ મોડેલ કોણ છે.
ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ કહ્યું કે ભૌતિકવાદી સમાજમાં સાદગીપૂર્વક જીવન જીવવું એ જ સાચી સફળતા છે. જીવનમાં એકલા હાથે પરિવર્તન લાવવાનો જુસ્સો રાખવો જોઈએ, કારણ કે રસૂલુલ્લાહ ﷺ એ પણ એકલા જ શરૂઆત કરી હતી.
અંતમાં સંદેશ આપવામાં આવ્યો કે જો ક્યારેય જીવનમાં રસ્તો ખોવાઈ જાય, તો રસૂલુલ્લાહ ﷺ ની સીરત પ્રકાશનો સ્તંભ સાબિત થાય છે. મહોબ્બત અને માત્ર ઉજવણી સુધી સીમિત ન રાખતા, તેને પોતાના સ્વભાવ અને કાર્યોમાં ઉતારીને સમાજ સુધી પહોંચાડવી જોઈએ.
આ પ્રેરણાદાયક પોડકાસ્ટ ખાસ કરીને યુવાનો માટે ખૂબ ઉપયોગી છે અને અવશ્ય જોવો જોઈએ.