જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવા અને હિંસા બંધ કરવાની અપીલ

0
30

નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશમાં આ કટોકટીની સ્થિતિને સંભાળી રહેલા અધિકારીઓને દેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ભરવાની અપીલ કરી છે.

સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જમાઅતે ઇસ્લામી હિંદ (JIH) બાંગ્લાદેશની સ્થિતિ અને તેની આસપાસના વિસ્તારો પર પડનારી તેની અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. બાંગ્લાદેશમાં હાલની અશાંતિ શેખ હસીના સરકારના સરમુખત્યારશાહી અને દમનકારી વલણનું સીધું પરિણામ છે. જાન્યુઆરી 2024માં બાંગ્લાદેશમાં યોજાયેલી ચૂંટણીમાં વ્યાપક કૌભાંડના આક્ષેપો થયા હતા, જેના કારણે સમગ્ર વિપક્ષે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. આના કારણે લોકશાહીના પાયા ડગમગ્યા હતા અને રાજકીય વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ઘટ્યો હતો. આ ઉપરાંત, વિરોધના અવાજોને દબાવવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી બદલાની રાજનીતિમાં અગ્રણી વિપક્ષી નેતાઓને અન્યાયી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકશાહી વાતચીતને દબાવી દેવામાં આવી હતી અને રાજકીય તણાવ વધ્યો હતો.

JIHના પ્રમુખે શેખ હસીના સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હિંસક દમનની નિંદા કરતાં તેને યુદ્ધ જેવી કાર્યવાહી ગણાવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની સરકારે તાત્કાલિક અને નક્કર પગલાં ભરીને દેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવી જોઈએ. ન્યાય પુનઃસ્થાપિત કરવા અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તટસ્થ અંતરિમ સરકારની રચના કરવી જરૂરી છે.

જમાઅતના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, “અમે વ્યાપક હિંસા અને ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયો પર થઈ રહેલા અત્યાચારોથી ગંભીરતાથી ચિંતિત છીએ. અમે આ હુમલાઓની ભારપૂર્વક નિંદા કરીએ છીએ અને અલ્પસંખ્યકો તેમજ અન્ય સંવેદનશીલ જૂથોની સુરક્ષા અને સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરીએ છીએ. સિવિલ સોસાયટીના સભ્યો ધાર્મિક સ્થળો અને અલ્પસંખ્યક સમુદાયની મિલકતોની સુરક્ષા માટે આગળ આવી રહ્યા છે તે જોઈને અમને રાહત થાય છે. બાંગ્લાદેશી લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતી એક સાચા પ્રતિનિધિ અને લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારની તાત્કાલિક સ્થાપના થવી જરૂરી છે.”

બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ પ્રદેશ અને પડોશી દેશો માટે સુરક્ષાની ચિંતા ન બને તે માટે પણ પગલાં લેવા જોઈએ. આંદોલનકારીઓ અને સામાન્ય લોકોને દેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાને પ્રાથમિકતા આપવાની અપીલ કરીએ છીએ. સામાજિક સંવાદિતા જાળવવા માટે અલ્પસંખ્યકો અને સંવેદનશીલ જૂથોના જીવન અને મિલકતોની સુરક્ષા જરૂરી છે. જમાઅતે ઇસ્લામી હિંદ આ પડકારજનક સમયમાં બાંગ્લાદેશની જનતા સાથે એકતા દર્શાવે છે અને સંકટનું ઝડપી નિરાકરણ લાવીને સૌના માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્યની આશા રાખે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here