Home તંત્રીલેખ ભારત પાકિસ્તાન યુદ્ધ : કૌન જીતા કૌન હારા

ભારત પાકિસ્તાન યુદ્ધ : કૌન જીતા કૌન હારા

0
13

22મી એપ્રિલે પહેલગામ, કાશ્મીરમાં અચાનક આતંકવાદીઓનો હુમલો થાય છે અને 26 લાશો ઢાળી દેવામાં આવે છે. નિર્દોષ પર્યટકોના નામ પૂછીને હિંદુ પુરુષોને મારવામાં આવે છે. તેમને પડકાર આપવાવાળો એક કાશ્મીરી મુસ્લિમ ઘોડાવાળો પણ શહીદ થઈ જાય છે. વડાપ્રધાન સાઉદી અરબની મુલાકાત ટૂંકાવી ભારત પરત આવી જાય છે અને યુદ્ધના હાકલા પડકારા શરૂ થઈ જાય છે. તેમાં પણ બિહારની ચૂંટણી સભા શિડયુલ મુજબ યોજાઈ જાય છે. આખા દેશમાં ગરમાવો આવી જાય છે. આજે 12મો દિવસ, આજે 13મો દિવસ… દેશવાસીઓની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચે છે અને સૌ કોઈ હવે તો પાકિસ્તાનને પાડી જ દો, તેવા મૂડમાં આવી જાય છે. ત્યારે બીજા સપ્તાહના અંતમાં ભારત ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને તોડી પાડવાનો દાવો કરે છે. આ ઓપરેશનની વિગત બે મહિલા અધિકારીઓ આપે છે, જેમાં એક મુસ્લિમ પણ છે. બસ પછી તો પૂછવું જ શું ? પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા બધા હરીફાઈમાં લાગી જાય છે. દેશભક્તિનું તુફાન ક્યાંથી ક્યાં લઈ જાય છે તેનું કોઈ ભાન કોઈને રહેતું નથી. કરાંચીનું બંદર તબાહ થઈ જાય છે, તો લાહોર કબજે થઈ જાય છે, રાવલપિંડી તરફ સેના કૂચ કરે છે અને પાકિસ્તાની સૈન્યના આર્મી ચીફ આસીમ મુનિર પદચ્યુત પણ થઈ જાય છે. ચેનલોના એન્કર ચીસો પાડી પાડીને બ્રેકિંગ ન્યુઝ આપવામાં હરીફાઈમાં બધી મર્યાદા ચૂકી જાય છે અને પછી માફી પણ માંગી લે છે.

જેઓ આજે યુદ્ધ ઉન્માદ ચોતરફ ફેલાવી રહ્યા છે તેઓ કોઈ સરહદ પર લડવા જતા નથી. તેમના બાળકો કફન પહેરતા નથી અને તેમની કોઈ સંપત્તિઓ પર મિસાઈલથી હુમલો પણ થતો નથી. તેમને ટેલિવિઝન પર ચર્ચા કરવાની હોય છે, ‘એક્સ’ પર દેશભક્તિના નારા લગાવવાના હોય છે અને પછી ઘરે જઈને કદાચ જલસા જ કરવાના હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે સામાન્ય લોકોના મૃતદેહો આજુબાજુ પડેલા હોય છે અને શાસકોની મહત્વકાંક્ષા પોષાતી હોય છે. સરહદ પાર પણ કદાચ આવું જ વાતાવરણ હશે.

હા, ક્યારેક યુદ્ધ અત્યંત જરૂરી હોય છે. કોઈ હુમલો કરે ત્યારે આપણે જવાબ પણ આપવો પડે છે, પરંતુ યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે, પહેલો કદાપી નહીં. જ્યારે વાતચીત દ્વારા સમજણ, સમાધાન કે દબાણ નિષ્ફળ જાય છે, પછી બંદૂક ઉઠાવવામાં આવે છે. આ કદાચ છેલ્લો વિકલ્પ છે. પણ યુદ્ધ એ મજબૂરીથી થવું જોઈએ, તેનો ગર્વ ન હોવો જોઈએ. પણ એવું થતું નથી. બલ્કે તેનાથી ઉલટું જ થાય છે. બે વિશ્વયુદ્ધ આપણી સામે જ છે, જે રાષ્ટ્રવાદની ભાવના અને તેની વકરી ગયેલી વિભાવનાના લીધે જ આ જગતે જોયા છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ 4 વર્ષથી ચાલી રહ્યું છે અને આજે પણ યુદ્ધવિરામની વાતો થઈ રહી છે, પરંતુ અમલ જોવા મળી રહ્યો નથી. ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદના શપથ લીધા પહેલાંથી જ જાહેર કર્યું હતું અને પછી આક્રમક પગલાં લઈ તેને રોકવા પ્રયત્ન પણ કર્યા, પરંતુ નતો યુક્રેને તેમની વાત કાને ધરી અને નો તો રશિયાએ કોઈ પ્રતિભાવ હકારાત્મક આપ્યો. ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં તો એક દેશની સામે એક નાનું સંગઠન છે. પરંતુ આટલી બર્બરતા અને આક્રમકતા પછી પણ અને ઇઝરાયલની વારંવારની જાહેરાત છતાં પણ તે હમાસને ગાઝામાંથી મિટાવી નથી શક્યું. વિયતનામ અને અફઘાનિસ્તાનના યુદ્ધોએ પણ બતાવ્યું છે કે રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ પણ લાંબાગાળા પછી પણ કોઈ વિજય મેળવી શકતી નથી. પાકિસ્તાન ભલે નાદાર થઈ ગયું હોય, ભીખનું કટોરું લઈને ફરતું હોય, પરંતુ લડવા માટે તે બધું દાવ પર લગાવી દેવા તૈયાર છે. તે એક પરમાણું શસ્ત્ર ધરાવતું રાષ્ટ્ર છે તેનું મિથ્યાભિમાન પણ છે. IMFની લોન આપણા ઘણા વાંધા છતાં પણ મેળવવામાં તે સફળ રહ્યું છે અને તેનો ઉપયોગની સાથે દુરુપયોગ કદાચ કોઈનાથી રોકાશે નહીં. બંને સેનાઓની તાકાતની સરખામણી થઈ રહી છે અને બંને દેશો દુનિયાના બીજા કયા દેશોનો સાથ લઈને સામેવાળાને હંફાવી શકે છે તેના સમીકરણોની ચર્ચા પણ થઈ રહી છે. સામાન્ય પ્રજાને પણ રફાલ અને એક 16ની ચર્ચામાં પરોવાઈ દેવાઈ છે. મસાલા ભરી ભરીને એન્કરો, કોમેન્ટેટરો, યુદ્ધ તજજ્ઞ અને કટાર લેખકો પોત પોતાનું જ્ઞાન વહેંચી રહ્યા છે. અને મીડિયાની હોડ હરીફાઈ તેને રોજ નવા વળ આપી રહી છે.

એક તરફ સિંદૂર ઓપરેશનનું નામ આપી હિંદુત્વનું કાર્ડ સિફતથી તરતું મૂકી દીધું છે, તો બીજી તરફ વિદેશ સચિવ આંતરરાષ્ટ્રીય સ્તરે એકદમ સચોટ રીતે, ન્યાયિક રજૂઆત સાથે, આપણા દેશનો પક્ષ મૂકી રહ્યા છે. બન્ને મહિલાઓ જે બ્રિફિંગ કરવા મૂકી તેમાં એક મુસ્લિમ બાનુ સોફિયા કુરૈશીનું હોવું અને તેમાં પણ ગુજરાતનું હોવું એક મેસેજ જરૂર આપે છે. એક તરફ તે સ્ત્રી સશક્તિકરણ દર્શાવે છે તો બીજી તરફ તે સર્વ ધર્મ સમભાવ પણ દર્શાવે છે અને તે આપણા દેશને ગૌરવ અપાવવા માટે પૂરતું છે. અને મતોનું ધ્રુવીકરણ કરી તેની લણણી કરવી પણ આસાન કરી આપે છે. મીડિયાને પણ આ પ્રોજેક્શનને ઉછાળવા માટે પૂરતો મસાલો મળી રહે છે.

હવે, યુદ્ધ બાબતે કુર્આને શું માર્ગદર્શન આપ્યું છે તે પણ સંક્ષિપ્તમાં જોઈ લઈએ.

અને તમે અલ્લાહના માર્ગમાં તે લોકો સાથે લડો, જેઓ તમારા સાથે લડે છે, પરંતુ અતિરેક ન કરો, કેમ કે અલ્લાહ અતિરેક કરનારાઓને પસંદ કરતો નથી. (સૂરઃ બકરહ-190) – (અર્થાતઃ ઇસ્લામમાં યુદ્ધ ફક્ત આત્મરક્ષા, અન્યાય પીડિતોની સહાય કે ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા માટે જ અનુમત છે. આ આયત એ બતાવે છે કે ફક્ત ત્રાસ આપનાર સામે યુદ્ધ થાય, નિર્દોષ, સ્ત્રી, બાળકો અથવા સામાન્ય નાગરિકને નુકસાન પહોચાડવું હરામ છે. અતિશયતા (જેમ કે બદલો લેવા માટે ક્રૂરતા) પણ નિષિદ્ધ છે.)

જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા છે તેમને મૃત ન સમજો, તેઓ તો હકીકતમાં જીવંત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. (સૂરઃ આલે ઇમરાન-૧૬૯) – (અર્થાતઃ આયતમાં શહિદોની આધ્યાત્મિક જીવનશૈલી દર્શાવવામાં આવી છે. તેઓ અલ્લાહના નિકટ જીવંત છે અને તેમને રોજી આપવામાં આવે છે. આથી, અન્યાય સામે ઉભા રહેનાર મુસ્લિમોને ધૈર્ય અને આશા મળે છે કે તેમની કુર્બાની વ્યર્થ નથી જતી.)

(આવા લોકોએ જાણી લેવું જોઈએ કે) અલ્લાહના માર્ગમાં લડવું જોઈએ તે લોકોએ જેઓ આખિરત (પરલોક)ના બદલે દુનિયા(આલોક)ના જીવનને વેચી દે. પછી જે અલ્લાહના માર્ગમાં લડશે અને માર્યો જશે અથવા વિજયી રહેશે તેને ચોક્કસપણે અમે મહાન બદલો આપીશું. (સૂરઃ નિસા-૭૪) – (અર્થાતઃ હકીકતમાં સાચો ઈમાનદાર એ છે જે દુન્યવી લાલચ છોડીને અલ્લાહની ખુશનુદી માટે સંઘર્ષ કરે. આ જિહાદ ફક્ત શસ્ત્રધારી યુદ્ધ નહીં, પણ દરેક ન્યાયીય હક્ક માટેના પ્રયત્નોને આવરે છે.)

તો જ્યારે આ કાફિરો (અધર્મીઓ) સાથે તમારી અથડામણ થાય તો પહેલું કામ તેમની ગરદનો ઉડાવી દેવાનું છે, ત્યાં સુધી કે જ્યારે તમે તેમને બરાબર કચડી નાખો ત્યારે કેદીઓને મજબૂત બાંધો, તે પછી (તમને અધિકાર છે કે) ઉપકાર કરો અથવા અર્થ-દંડ (ફિદયા)નો મામલો કરો, ત્યાં સુધી કે યુદ્ધ પોતાના હથિયાર નાખી દે. આ છે તમારે કરવાનું કામ. અલ્લાહ ઇચ્છતો તો પોતે જ તેમનાથી નિપટાવી લેતો, (પરંતુ આ રીત તેણે એટલા માટે અપનાવી છે) જેથી તમારી એકબીજા દ્વારા પરીક્ષા કરે. અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા જશે, અલ્લાહ તેમના કર્મોને કદાપિ વ્યર્થ નહીં કરે. (સૂરઃ મુહમ્મદ-૪) – (અર્થાતઃ આ આયત ફક્ત સશસ્ત્ર યુદ્ધની પરિસ્થિતિ માટે છે. યુદ્ધ દરમ્યાન દુશ્મનને કેવી રીતે નિષ્ફળ બનાવવો તેની વાત કરે છે. પરંતુ આગળ કહેવામાં આવ્યું છે કે જો દુશ્મન કેદી બની જાય તો તેમને માફ કરવું અથવા મુક્ત માટે ફિદયા લેવો – એટલે કે બદલા માટે નહીં, પરંતુ નીતિ અને માનવતાના આધાર પર વ્યવહાર કરવો જોઈએ.)

હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.એ જ્યારે એક લશ્કરને રવાના કર્યું, ત્યારે ફરમાવ્યુંઃ “ન તો કોઈ સ્ત્રીને કતલ કરજો, ન બાળકને, ન વૃદ્ધને, ન વૃક્ષો કાપજો, ન વસ્તીને સળગાવજો, ન સાધુ-સંતો (રાહિબો) ને કતલ કરજો.” (મુસન્નિફ ઇબ્ને અબી શૈબાઃ ભાગ ૭, પાનું ૧૪૬)

ટૂંકમાં ઇસ્લામમાં એક તરફ યુદ્ધની પરિÂસ્થતિનું વર્ણન બતાવ્યું છે, તો બીજી તરફ યુદ્ધમાં ન્યાયને વળગી રહેવાની વાત પણ કરી છે. ઇનકારીઓને મારવાની વાત પણ કરી છે અને શહીદોના ઉચ્ચ સ્થાનની વાત પણ કરી છે. આપણે પયગંબર (સ.અ.વ.) સીરતનો અભ્યાસ કરીએ છીએ તો સમજાય છે કે ઇસ્લામમાં યુદ્ધ છેવટના ઉપાય તરીકે અને ના છૂટકે કરવામાં આવેલ છે અને તે દરમિયાન અને તે પછી પણ ન્યાયને અને દરગુજરને ખૂબ જ મહત્વનું સ્થાન અપાયું છે.

છેલ્લે, અમેરિકાની મધ્યસ્થીની જાહેરાત બાદ આ યુદ્ધ કદાચ બંધ થઈ જશે, કદાચ જલ્દીથી બંધ થઈ જશે. પણ તેની અસરોમાં મોંઘવારી આસમાનને આંબી જશે. સામાન્ય માનવીની કેડ ભાંગી જશે. પરંતુ મતોનું ધ્રુવીકરણ આસાનીથી થઈ જશે. પેટીઓ છલકાઈ જશે અને જે હેતુ છે તે મીડિયાના સથવારે આસાનીથી પૂરો પણ થઈ જશે. શહીદોની માતાઓ વિધવાઓ અને અનાથો થોડા સમયમાં ભુલાઈ પણ જશે અને સમય આગળ વધતો જ જશે. કદાચ બીજા એક નવા યુદ્ધની તૈયારી માટે…આશા રાખીએ આવું ન થાય. કદાપિ ન થાય. આમીન.

લે. મુ.ઉમર વહોરા
મો. નં. 99252 12453
ઈ મેઈલ : mgvgetco@yahoo.co.in
લેખ તારીખઃ 12-05-2025

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here