ઓડિશામાં હિંદુતત્વવાદીઓની ગુંડાગીરી

0
28
ઓડિશાના બાલેશ્વર જિલ્લામાં આદિવાસી મહિલા પર થયેલ અપમાન દર્શાવતા વ્યાપકપણે ફેલાયેલા વિડિયોમાંથી એક સ્ક્રીનશોટ. ફોટો: X/@HateDetectors

આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ સાથેની બર્બરતા: ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર હુમલો

(ન્યુઝ ડેસ્ક) ગત દિવસોમાં ભારતના પૂર્વના રાજ્ય ઓડિશાના બાલાસોર જિલ્લામાં હિંદુત્વ સંગઠન દેવી સેનાના ગુંડાઓ દ્વારા આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ પર થયેલ અત્યાચારે ભારતના લોકશાહી અને ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાએ દેશમાં માત્ર મહિલાઓ સામે થતી હિંસા જ બહાર નથી લાવી, પરંતુ દેશના નબળા વર્ગો, ખાસ કરીને દલિતો, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની સુરક્ષામાં સરકારની સ્પષ્ટ નિષ્ફળતાને પણ દર્શાવી છે. આ ઘટનાને માત્ર ખ્રિસ્તીઓ સુધી સીમિત ન માનવી જોઈએ પરંતુ આ દેશના અલ્પસંખ્યકો, મહિલાઓ અને સામાજિક રીતે નબળા વર્ગો સામે એક સંગઠિત અત્યાચાર અને હિંસાનું પ્રતિનિધિત્વ સમજવું પડશે. આવી સ્થિતિમાં દેશના દરેક ન્યાયપ્રિય નાગરિક પર આ જવાબદારી આવે છે કે તેઓ આ અત્યાચારનો અંત લાવવા અને ન્યાય સ્થાપિત કરવા માટે પોતાનું યોગદાન આપે.

સમાચારો અનુસાર, ભાજપના સાંસદ પ્રતાપ સરંગીની ચૂંટણી ક્ષેત્રમાં દેવ સેનાના ગુંડાઓએ કેટલીક આદિવાસી ખ્રિસ્તી મહિલાઓને ઝાડ સાથે બાંધીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો, તેમના ચહેરા બદલી નાખ્યા હતા અને જબરદસ્તી જય શ્રી રામ અને જય જગન્નાથના નારા લગાવવા માટે મજબૂર કરી હતી. ખ્રિસ્તી મહિલાઓ સાથે થયેલી આ બર્બરતા માત્ર માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન જ નથી પરંતુ દેશના સંવિધાનમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનું પણ અપમાન છે.

આ ઘટના એવા સમયે બની જ્યારે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે મોટા દાવા કરી રહી છે. આ ઘટના પર સરકારનું મૌન, સ્થાનિક વહીવટી તંત્રની અસમર્થતા અને કેન્દ્ર સરકારનું બેદરકાર વલણ આ વાત તરફ ઇશારો કરે છે કે અલ્પસંખ્યકો અને નબળા વર્ગોની સુરક્ષાને તેમના એજન્ડામાં કોઈ સ્થાન નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે અને સરકાર તરફથી ગંભીર પગલાં લેવામાં ન આવતા આવા સમાજ વિરોધી તત્વો વધુ નિર્ભય બન્યા છે.

આ ઘટના મહિલાઓના અધિકારો, અલ્પસંખ્યકોના રક્ષણ અને સંવિધાનિક સમાનતાના સિદ્ધાંતો પર સીધો હુમલો છે. આ પ્રકારની ઘટનાઓ માત્ર પીડિતોના જીવનને બરબાદ કરતી નથી પરંતુ સમગ્ર સમાજમાં ભય અને આતંક ફેલાવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં વિકાસ અને ન્યાયના અભાવે લોકોને પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ ઘટના બાદ સરકાર તરફથી જે રીતે મૌન અને નિષ્ક્રિયતા જોવા મળી રહી છે તે સ્પષ્ટ સંકેત છે કે દેશમાં અલ્પસંખ્યકોના રક્ષણને જાણી જોઈને અવગણવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારમાં આ પ્રકારની ઘટનાઓમાં વધારો થવો એ પણ દર્શાવે છે કે નફરત અને હિંસાની આ ઘટનાઓને એક ચોક્કસ જૂથનું રાજકીય સમર્થન પ્રાપ્ત છે. પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારી આ ચિંતાને વધુ ઊંડી બનાવે છે કે સરકારના આંતરિક વર્તુળો અલ્પસંખ્યકો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીને નજરઅંદાજ કરવાનું જ નહીં પરંતુ તેને પ્રોત્સાહન અને સમર્થન પણ આપે છે.

દેશની વર્તમાન સામાજિક અને રાજકીય સ્થિતિ એટલી બગડી ચૂકી છે કે અલ્પસંખ્યકો પર થતા અત્યાચારને લોકો હવે સામાન્ય બાબત માનવા લાગ્યા છે. હિંદુત્વ સંગઠનો પોતાના રાજકીય અને સામાજિક હેતુઓ માટે હંમેશા અલ્પસંખ્યકોને નિશાન બનાવતા આવ્યા છે અને હવે આમાં અનેક ગણો વધારો થયો છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર અલ્પસંખ્યકોને ડરાવવાનો જ નહીં પરંતુ તેમની ધાર્મિક ઓળખને પણ ખતમ કરવાનો છે. આવા જ હેતુ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સામે આ પ્રકારના અત્યાચારમાં ખૂબ જ વધારો થયો છે. ચર્ચ પર હુમલા, ધાર્મિક સભાઓમાં અવરોધો અને તેમની વિરુદ્ધ નફરત ફેલાવતી ઝુંબેશ આ વાતનો પુરાવો છે કે દેશની સ્થિતિ ખતરનાક હદે બગડી ચૂકી છે.

હકીકતમાં તો આ સરકારની જવાબદારી હતી કે તે આવા બનાવોને રોકવા માટે ગુંડા તત્વો સામે કાર્યવાહી કરે, પરંતુ જોવા મળી રહ્યું છે કે ઉલટા આ પ્રકારના તત્વો વધુ ફૂલીફાલી રહ્યા છે. આમાંથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિને કાબૂમાં કરવામાં ન માત્ર કાયદો અને વ્યવસ્થાની એજન્સીઓ નિષ્ફળ થઈ રહી છે પરંતુ ગુનેગારોને ઘણીવાર રાજકીય આશ્રય પણ મળે છે. આ બધા બનાવો સ્પષ્ટ કરે છે કે વર્તમાન રાજકીય વ્યવસ્થા અલ્પસંખ્યકોના હકોના સંરક્ષણમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. તેથી દેશના શાંતિપૂર્ણ અને ગંભીર નાગરિકો, ભલે તે કોઈપણ ધર્મ, જાતિ કે જનજાતિના હોય, તેમના ઉપર આ અત્યાચારના અંત સુધી સંઘર્ષ કરવાની જવાબદારી છે. દેશને પ્રેમ કરનાર દરેક નાગરિકે નબળા લોકો સામે થતા કોઈપણ અત્યાચારી કૃત્યને જોઈને ચુપ રહેવું નહીં જોઈએ, પરંતુ તેના વિરુદ્ધ ઉભા થવું જોઈએ. અત્યાચાર વિરુદ્ધ ઉભા થવું અને પીડિતોનું સમર્થન કરવું દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. સોશિયલ મીડિયા, વિરોધ પ્રદર્શનો અને જન આંદોલનો દ્વારા સરકાર અને વહીવટી તંત્રને આવા બનાવોને સખત રીતે રોકવા માટે મજબૂર કરવું જોઈએ.

સામાન્ય લોકો અને સીવિલ સોસાયટીએ અન્યાયનો ભોગ બનેલા લોકોને કાયદાકીય મદદ આપવી જોઈએ જેથી તેઓ પોતાના હક્કો માટે કોર્ટમાં લડી શકે અને ગુનેગારોને સજા મળે. આ ઉપરાંત તેમને સામાજિક સહાય પૂરી પાડવી, આર્થિક મદદ અને તેમના સામાજિક જીવનને ફરીથી સ્થાપિત કરવું એ પણ સામાન્ય નાગરિકોની જવાબદારી છે. દેશના નાગરિકોની એ પણ જવાબદારી છે કે તેઓ પોતાના વર્તુળમાં સાંપ્રદાયિક સદભાવને પ્રોત્સાહન આપે અને નફરત ફેલાવનારા તત્વો સામે ઊભા રહે. આ હેતુ માટે સંવાદ અને અલગ અલગ ધર્મોના લોકો વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. આ તત્વો ખોટા સમાચાર અને અફવાઓ દ્વારા દેશના વિવિધ વર્ગો વચ્ચે ગેરસમજો પેદા કરીને તેમની વચ્ચે અંતર ઊભું કરી રહ્યા છે અને આ જ અંતર નફરતમાં વધારો કરવાનું કારણ બની રહ્યું છે. પ્રજાના સ્તરે વિવિધ વર્ગો વચ્ચે વાતચીત, સંવાદ અને નિકટતા આ સ્થિતિને બદલી શકે છે.
આ સમયે ખાસ કરીને મુસ્લિમોએ કાર્યવાહીનો અભિગમ અપનાવવાની જરૂર છે. ઇસ્લામ મુસ્લિમોને અન્યાય સામે ઊભા રહેવા અને પીડિતોની મદદ કરવાનો આદેશ આપે છે. કુર્આન અને હદીસમાં અન્યાયના ખાતમા માટે સ્પષ્ટ માર્ગદર્શન છે. મુસ્લિમો પર આ જવાબદારી છે કે તેઓ અન્યાય, ભલે તે ક્યાંય પણ હોય અને કોઈ પર પણ હોય, તેના વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે. અન્યાયના અંત માટે પોતાની શક્તિ અને સંસાધનોનો ઉપયોગ કરે અને પીડિતોનો સાથ આપે. મુસ્લિમોએ એવું ન કરવું જોઈએ કે તેઓ આવી ઘટનાઓ પર ચુપચાપ તમાશબીન બનીને રહી જાય, પરંતુ અત્યાચારીઓને અત્યાચારથી રોકે અને પીડિતોની મદદ કરે. આ મદદ નાણાકીય સહાય, કાયદાકીય સહાય અથવા સામાજિક સહાયના રૂપમાં હોઈ શકે છે. તેમણે ખ્રિસ્તીઓ અને અન્ય અલ્પસંખ્યકો સાથે મળીને નફરત ફેલાવવાના વિરોધમાં એકતા સ્થાપિત કરવી જોઈએ. તેમણે આ સાબિત કરવું પડશે કે તેઓ દેશના તમામ પીડિતો સાથે છે, ભલે તેનો કોઈ પણ ધર્મ હોય.

ઓડિશાની ઘટના દેશમાં ખાસ કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ જેવા અલ્પસંખ્યકો પર વધતા અત્યાચારોનું એક દર્પણ છે. આ સરકારના અન્યાયને નજરઅંદાજ કરવાની અને અલ્પસંખ્યકો વિરોધી નીતિઓનું પરિણામ છે. આવી સ્થિતિમાં મુસ્લિમોની જવાબદારી બને છે કે તેઓ અન્યાયને રોકવા અને ન્યાય સ્થાપિત કરવા માટે આગળ આવે. જો મુસ્લિમો અને અન્ય ન્યાયપ્રિય વર્ગો મળીને આ અન્યાય સામે લડે અને સરકારને તેની જવાબદારીઓ યાદ કરાવે તો દેશમાં એવું વાતાવરણ બની શકે કે જ્યાં દરેક વ્યક્તિ પોતાના ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને શાંતિથી જીવી શકે. અન્યાય સામે ઊભા રહેવું એ માત્ર ધાર્મિક ફરજ નથી પણ માનવતાવાદી કર્તવ્ય પણ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here