ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને અસહમતિ વિરુદ્ધ બનતા વાતાવરણથી બંધારણના આત્માને જબરદસ્ત ખતરો છે . ડિજિટલ ગુલામીના આ સમયમાં “ડિજિટલ ઇન્ડિયા” સૂત્ર ખરેખર “સર્વેલન્સ ઇન્ડિયા” વધારે ભાસે છે. બંધારણ વાંચવાથી અને તેના માટે થનારા જાગૃતિ આંદોલનોથી જ બચશે બંધારણ
કોઈ બંધારણ ભલે ગમે તેટલું સારું કેમ ન હોય, જો તેને લાગુ કરનારા લોકો ખરાબ હોય તો તે ખરાબ જ સાબિત થશે.
ગૂંચવાડાના માર્ગે એક જીવંત દસ્તાવેજ
ડા. બી.આર. આંબેડકરના આ દૂરંદેશી શબ્દો આજે 75 વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત છે; આ શબ્દો ભારતીય બંધારણની નાજુક પરંતુ સ્થાયી પ્રકૃતિને રેખાંકિત કરે છે. 26 નવેમ્બર, 1949ના રોજ ડૉ. આંબેડકરે દેશને ભારતીય બંધારણના માધ્યમથી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, એકતા અને બંધુત્વનું એક સ્વપ્ન આપ્યું – એક જીવંત દસ્તાવેજ, જેને એક વિવિધતાસભર, નવસ્વતંત્ર ગણરાજ્યનું માર્ગદર્શન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ બંધારણ આપણા દેશને એકતાના માર્ગે દોરનારો દસ્તાવેજ છે. આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરી ચૂક્યો છે, ત્યારે આ બંધારણ જ આપણી લોકતાંત્રિક ઓળખનો આધાર છે. એક નૈતિક હોકાયંત્ર તરીકે આ બંધારણ જ ભારતની બહુવાદી લોકશાહી તરીકેની ઓળખને દિશા આપી રહ્યું છે.
તેમ છતાં, જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, આ મૂલ્યો અનેક દિશાઓથી અભૂતપૂર્વ દબાણનો સામનો કરી રહ્યા છે. વિડંબના એ છે કે 2025 સુધી પહોંચતા-પહોંચતા આ બંધારણ પર અનેક પ્રકારના ખતરા તોળાઈ રહ્યા છે – રાજકીય ધ્રુવીકરણ, સંસ્થાઓની નબળી પડતી બુનિયાદો, વધતી સામાજિક અસમાનતા અને ઇન્ટરનેટ પર ફેલાતી ખોટી ખબરો આ બુનિયાદને હચમચાવી રહી છે.
બંધારણના મૂળભૂત મૂલ્યોઃ ગણતંત્રનો પાયો
ભારતના લોકતંત્રનો પાયો ચાર મૂળભૂત મૂલ્યો પર ટકેલો છે, જે ન માત્ર સરકારને ચલાવવાની રીત બતાવે છે, પરંતુ સમાજમાં પરસ્પર ભાઈચારો જાળવી રાખવામાં પણ મદદ કરે છેઃ
• લોકશાહીઃ બંધારણની કલમ 19 અને 21એ નક્કી કરે છે કે દેશમાં દરેક નાગરિકને પોતાની વાત કહેવાનો, ચૂંટણીમાં ભાગ લેવાનો અને સરકારમાં ભાગીદારીનો હક છે. આ જ અધિકાર જનતાને દેશની દિશા નક્કી કરવાની તાકાત આપે છે.
• ધર્મનિરપેક્ષતાઃ બંધારણની પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. તેનો મતલબ એ છે કે સરકાર કોઈ એક ધર્મનો પક્ષ નથી લેતી અને બધા ધર્મોને સમાન સન્માન આપે છે. આ અલ્પસંખ્યકો, ખાસ કરીને મુસલમાનોની ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખનું રક્ષણ કરે છે.
• કાયદાનું શાસનઃ આનો મતલબ એ છે કે દરેક વ્યક્તિ પર કાયદો સમાન રીતે લાગુ થશે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે કોઈ મોટો અધિકારી કે નેતા. ન્યાયતંત્ર (કોર્ટ)ની આઝાદી અને સરકારી સંસ્થાઓની જવાબદારી એ સુનિશ્ચિત કરે છે કે ઇન્સાફ ન તો ટાળવામાં આવે અને ન તો તેમાં પક્ષપાત કરવામાં આવે.
• સામાજિક ન્યાયઃ કલમ 15, 16 અને અન્ય જોગવાઈઓ એ નક્કી કરે છે કે સમાજના નબળા વર્ગો જેવા કે દલિતો, મહિલાઓ, અલ્પસંખ્યકો અને ગરીબ તબક્કાઓને સમાન તક મળે. આ માત્ર કાયદા નથી, પરંતુ એવા રસ્તાઓ છે જે એક વિવિધતાસભર સમાજમાં ભાઈચારો અને ઇન્સાફ જાળવી રાખવા માટે જરૂરી છે.
બંધારણીય મૂલ્યો પર તોળાતા ખતરા
2025માં ભારતના બંધારણીય મૂલ્યોની મજબૂતી અનેક મોરચે કસોટીમાં છેઃ
• રાજકીય ધ્રુવીકરણ (Polarisation) : જાતિ અને ધર્મના રાજકારણે સમાજને વહેંચી દીધો છે. મુસલમાનો અને દલિતોને નફરત ફેલાવતા અભિયાન, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, નિશાન બનાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તાજેતરની ઘટનાઓ બતાવે છે કે કેવી રીતે ખોટા સમાચાર અને અફવાઓ હિંસા ભડકાવે છે અને દેશની ધર્મનિરપેક્ષ છબી ખરડાય છે.
• બંધારણીય સંસ્થાઓને નબળી પાડવીઃ આજે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સવાલ ઉઠી રહ્યા છે અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓની નિષ્પક્ષતા પર શંકા પેદા થઈ ગઈ છે. અદાલતોમાં 5 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે, કેટલાક નિર્ણયોને પક્ષપાતી માનવામાં આવ્યા છે, અને રાજકીય દબાણમાં નિમણૂકોની ફરિયાદો પણ સામે આવી છે. UAPA અને દેશદ્રોહ જેવા કાયદા (હવે નવા આતંકવાદ વિરોધી કાયદા અને હેટ સ્પીચ કાયદા)નો દુરુપયોગ કરી પત્રકારો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે, જેવું કે V-Dem સંસ્થાના 2024ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
• સામાજિક અસમાનતાઃ બંધારણ દ્વારા પ્રતિબંધ હોવા છતાં, જાતિગત ભેદભાવ, લિંગ અસમાનતા અને આર્થિક બાકાતપણું હજી પણ ચાલુ છે. ૨૦૦૬ની સચર સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશની વસ્તીમાં ૧૩.૪% હિસ્સો હોવા છતાં મુસ્લિમોને માત્ર ૪.૩% સરકારી નોકરીઓ અને ૨.૨% ઉચ્ચ શિક્ષણમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. ૨૦૨૩ સુધીમાં પણ લગભગ ૫૦% મુસલમાનો ગરીબી રેખા નીચે છે. મહિલાઓને આજે પણ કામકાજની દુનિયામાં ભેદભાવનો સામનો કરવો પડે છે અને દલિતો સાથે હજી પણ હિંસા અને બહિષ્કાર થાય છે.
• ડિજિટલ આઝાદી પર ખતરોઃ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી વાતો અને અફવાઓ વધી રહી છે. સાયબર દેખરેખ, AI દ્વારા પ્રોફાઇલિંગ અને ડેટા ચોરીથી લોકોની ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતરો પેદા થયો છે. ફક્ત કોઈ પોસ્ટને લાઈક કરવા પર જ કોઈને ‘દેશદ્રોહી’ કહી દેવામાં આવે છે. સરકાર અથવા નેતાઓની ઓનલાઈન ટીકા કરવા પર સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે અથવા ખોટા કેસ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં કોઈ પણ સૂચના આપ્યા વિના લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા. ગયા વર્ષે ૧,૦૦૦ થી વધારે લોકોને ફક્ત ઓનલાઈન વિરોધ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
• માહિતી અધિકાર કાયદો નબળો પડ્યોઃ નવો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) કાયદો, માહિતી અધિકાર કાયદાને નબળો પાડી રહ્યો છે. હવે સરકારી સંસ્થાઓ ‘પ્રાઇવેસી’નું કારણ આપીને માહિતી આપવાનું ટાળી રહી છે. તેનાથી પારદર્શિતા અને જવાબદારીનો અધિકાર નબળો પડ્યો છે.
• અસહમતિના અધિકારનું હનનઃ CAA વિરોધી આંદોલન અને ખેડૂતોના આંદોલને બતાવ્યું કે જનતા આજે પણ પોતાના અધિકારો માટે જાગૃત છે અને તેની રક્ષા માટે ઊભી થઈ શકે છે. પરંતુ સરકારની પ્રતિક્રિયા – જેમ કે ઇન્ટરનેટ બંધ કરવું, ધરપકડ અને પ્રદર્શનકારીઓને બદનામ કરવા – એ બતાવે છે કે અસહમતિની જગ્યા સતત સંકોચાઈ રહી છે. હવે પ્રદર્શન માટે જે જગ્યાઓ આપવામાં આવે છે, તે શહેર અને લોકોથી દૂર હોય છે અને મીડિયા પણ તેને યોગ્ય રીતે કવર કરતું નથી.
• દુઃખદ ઘટનાનો દુરુપયોગઃ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો, જેમાં 26 લોકોના જીવ ગયા, એકતા બતાવવાની તક હોવી જોઈતી હતી. પરંતુ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ ઘટનાનો સહારો લઈને બંધારણની કલમ 26 થી 29 સુધીને હટાવવાની માંગ કરી દીધી. આ કલમો નાગરિકોને ધાર્મિક આઝાદી અને સાંસ્કૃતિક અધિકારોની ખાતરી આપે છે. તેમનું આ કહેવું કે આ અધિકારોથી હિંદુઓ “બીજા દરજ્જાના નાગરિક” બની જાય છે, તે તદ્દન ખોટું અને સમાજને વિભાજિત કરનારું છે. ભાજપે ભલે તેમના નિવેદનથી અંતર રાખ્યું, પરંતુ જમ્મુમાં VHP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને સમર્થન આપવું બેવડું ધોરણ બતાવે છે. આવી ઘટનાઓને બહાનું બનાવીને લઘુમતીઓના અધિકારો ખતમ કરવાની માંગ કરવી બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે.
બંધારણની ભાવનાને ફરીથી જીવંત કરવાની જરૂર
ભારતના બંધારણીય મૂલ્યોને બચાવવા માટે આપણે અનેક સ્તરે કામ કરવું પડશેઃ
• સંસ્થાઓને મજબૂત કરવીઃ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની આઝાદી સુનિશ્ચિત કરવી જરૂરી છે. જજોની નિમણૂક કરવાની પ્રક્રિયા પારદર્શક હોય, કોર્ટના પેન્ડિંગ કેસોને ઘટાડવા માટે મધ્યસ્થી અને ટ્રિબ્યુનલ વ્યવસ્થાને સુધારવામાં આવે, અને ચૂંટણી પંચ પર સરકારનું દબાણ ખતમ થાય. UAPA અને તેના જેવા સખત કાયદાઓને નાબૂદ કરવામાં આવે.
• બંધારણ પ્રત્યે જાગૃતિઃ શાળાઓ, કોલેજોમાં અને સામાજિક મંચો પર બંધારણનું શિક્ષણ આપવું જોઈએ. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવીને લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરી શકાય છે, જેનાથી તેઓ સમજદારીથી લોકશાહીમાં ભાગ લઈ શકે.
• જવાબદાર મીડિયાઃ પત્રકારોની સુરક્ષા અને સ્વતંત્રતાને કાયદાઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ. સાથે જ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જવાબદાર બનાવવા માટે અધિકાર આધારિત નિયમો બનાવવા જોઈએ. Alt News જેવા નાગરિક જૂથો ખોટા સમાચારોનો પર્દાફાશ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
• પારદર્શિતા તથા જવાબદારી અને ગોપનીયતામાં સંતુલનઃ RTI (માહિતી અધિકાર) કાયદાની મૂળ ભાવનાને બચાવવા માટે DPDP કાયદામાં સુધારો જરૂરી છે, જેથી જનહિતના કેસોમાં RTIને પ્રાથમિકતા આપવામાં આવે. એ નક્કી થવું જોઈએ કે ક્યારે ખાનગી ડેટાની સુરક્ષા જરૂરી છે અને ક્યારે જાહેર માહિતી આપવી વધુ મહત્ત્વની છે. લોકોને તેમના અધિકારો વિશે માહિતી આપવાથી અને સરકારી કર્મચારીઓને તાલીમ આપવાથી પારદર્શિતાનું વાતાવરણ બનશે.
• સૌને સાથે લઈને ચાલનારી યોજનાઓઃ સરકારી યોજનાઓનું ધ્યાન દલિતો, મુસલમાનો અને પછાત વર્ગો પર કેન્દ્રિત હોવું જોઈએ. નવી શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦)માં એ સુનિશ્ચિત કરવામાં આવે કે લઘુમતીઓને સારું શિક્ષણ મળે. ‘વિશ્વકર્મા યોજના’ જેવી નીતિઓમાં મુસ્લિમ અને દલિત સમુદાયોને વિશેષ રૂપે સામેલ કરવામાં આવે.
• જનભાગીદારીને પ્રોત્સાહન આપવુંઃ ગામો અને શહેરોમાં સ્થાનિક સ્તરે ધાર્મિક એકતાની વાતચીત, કાનૂની જાગૃતિ અભિયાન અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહિત કરવા જોઈએ. મસ્જિદો, મંદિરો, મદ્રેસાઓ અને સામુદાયિક ભવનોને બંધારણ પર ચર્ચાનું કેન્દ્ર બનાવી શકાય છે. યુવા વર્ગ, ભલે ઓનલાઈન હોય કે જમીની સ્તરે, લોકશાહીને નવો જોશ અને દિશા આપી શકે છે.
સંવૈધાનિક સંકલ્પઃ સાથે મળીને ફરજ નિભાવવી એ ભારતની બંધારણીય યાત્રાનો આત્મા
ભારતનું બંધારણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ તમામ ધર્મો, જાતિઓ અને પ્રદેશોને જોડનારું એક સહિયારું સ્વપ્ન છે. મુસલમાનો અને અન્ય વંચિત સમુદાયો માટે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પોતાના અધિકારોની માંગણી કરવી એ માત્ર તેમનો હક જ નથી, પરંતુ તેનાથી દેશનું લોકતંત્ર વધુ મજબૂત બને છે. બંધારણ આપણને શીખવે છે કે દરેકને સમાનતા અને ઇજ્જતથી જીવવાનો અધિકાર છે.
જ્યારે જનતાએ એકતાની તાકાત બતાવી
શાહીન બાગની મહિલાઓ હોય કે દિલ્હી કૂચ કરતા ખેડૂતો – આ આંદોલનોએ બતાવી દીધું કે જ્યારે લોકો એક થઈને ઊભા રહે છે ત્યારે બંધારણના મૂલ્યોનું રક્ષણ થાય છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું કે બંધારણની તાકાત તેના સિદ્ધાંતોમાં નહીં, પરંતુ તેને માનનારા નાગરિકોમાં રહેલી છે.
સંવાદથી એક સારા ભવિષ્ય તરફ
શાળાના વર્ગખંડ હોય, મસ્જિદનું આંગણું હોય, ગામની ચોપાલ હોય કે સોશિયલ મીડિયા – દરેક જગ્યાએ આપણે આપણા અધિકારો, ફરજો અને દેશના ભવિષ્ય વિશે વાત કરવી જોઈએ. જ્યારે આપણે વોટ આપીએ છીએ, શાંતિપૂર્ણ વિરોધ કરીએ છીએ અથવા મક્કમતાથી સત્તાને સવાલ કરીએ છીએ, ત્યારે આપણે બંધારણને જીવંત રાખીએ છીએ. આ માટે જરૂરી છે કે આપણે આપણી સંસ્થાઓને મજબૂત કરીએ, નાગરિક શિક્ષણને પ્રોત્સાહન આપીએ, મીડિયાને જવાબદાર બનાવીએ, સૌને સાથે લઈને ચાલનારી નીતિઓ લાગુ કરીએ અને સામાન્ય લોકોની ભાગીદારી વધારીએ. અદાલતો, જેમ કે તાજેતરના કેટલાક ઐતિહાસિક નિર્ણયોમાં જોવા મળ્યું છે, બંધારણીય મૂલ્યોના રક્ષક બની રહે – તે ખૂબ જ જરૂરી છે.
આપણો રોલ – આપણી જવાબદારી
હવે આ વિચારવાનો સમય છે કે તમે અને અમે – ભારતના બંધારણને બચાવવા અને આગળ વધારવામાં શું યોગદાન આપી શકીએ છીએ. તેનો જવાબ આપણા નાના-નાના પરંતુ સભાન પગલાંઓમાં છુપાયેલો છે. જો આપણે સૌ સાથે મળીને બંધારણના મૂલ્યોને અપનાવીએ અને તેનું રક્ષણ કરવા માટે કમર કસી લઈએ, તો આપણો દેશ આવનારી પેઢીઓ માટે લોકતંત્ર, વિવિધતા અને નાગરિક ગરિમાના પ્રતીક તરીકે એક શાનદાર ઉદાહરણ બની શકે છે. •••
લે. ડો. મુહમ્મદ ઈકબાલ સિદ્દીકી, નવી દિલ્હી,
(લેખક જમાઅતે ઇસ્લામી હિંદ સહાયક સચિવ તથા વરિષ્ઠ સ્તંભકાર છે.)