Home સમાચાર ઉલેમાઓનું સર્વ-સંમત વલણ ઃ બાબરી મસ્જિદ વિવાદ અંગે તેઓ પર્સનલ લો બોર્ડની...

ઉલેમાઓનું સર્વ-સંમત વલણ ઃ બાબરી મસ્જિદ વિવાદ અંગે તેઓ પર્સનલ લો બોર્ડની સાથે

0

બેંગ્લોર,
બાબરી મસ્જિદનો વિવાદ જે સુપ્રીમ કોર્ટમાં હાલમાં સુનાવણી હેઠળ છે તેને પોતાના પરિણામ સુધી પહોંચાડવો જોઈએ. આ દરમ્યાન અદાલતની બહાર હવે આ તબક્કે કોઈ સમાધાનની વાત સત્ય તથા ન્યાયના તકાદાઓની વિરુદ્ધ હશે.

ઉપરોકત શબ્દો હતા કર્ણાટકના અમીરે શરીઅત મૌલાના સગીર અહમદના જે તેમણે હાલમાં જ અખબારી પ્રતિનિધિઓ સમક્ષ કહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભારતીય મુસ્લિમ મિલ્લતનું સંયુકત સંગઠન છે. આ પ્રશ્ને બોર્ડનું જે વલણ છે અને જે રીતે અદાલતમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે તેના લીધે અત્યાર સુધી દેશવાસીઓ સમક્ષ મુસલમાનોની કાનૂની, નૈતિક અને તાર્કિક સ્થિતિ ખૂબ જ સારી અને મજબૂત રહી છે. આ મામલામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને હંમેશથી મુસલમાનોનું ભરપુર સમર્થન અને વિશ્વાસ પ્રાપ્ત રહેલ છે, અને આજે પણ પ્રાપ્ત છે.

તેમણે જણાવ્યું કે આ સામૂહિક વલણથી અલગ કોઈનો મત હોઈ શકે છે, દરેક વ્યક્તિને દલીલસભર રીતે પોતાનો મત રજૂ કરવાનો અને તેને વ્યકત કરવાની સ્વતંત્રતા તથા અધિકાર પ્રાપ્ત છે. પરંતુ જ્યારે સામૂહિક રીતે કોઈ પ્રશ્ને નિર્ણય થઈ જાય તો એ સામૂહિક નિર્ણયનો આદર કરવો તથા એ અંગે પોતાનો મતભેદ હોવા છતાં સામૂહિકતાનો સાથ આપવો અને તેની સાથે હળી-મળીને ચાલવું એ શરીઅતની પ્રકૃતિ અને મિલ્લતની એકતાને છિન્ન-ભિન્ન થવાથી બચાવવાની એક અસરકારક યુક્તિ પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલમાં મૌલાના સલમાન નદવી સાહેબના અલગ વલણનો પણ આ જ મામલો છે. તેઓ પોતાનો જુદો અભિપ્રાય ચોક્કસ રાખી શકે છે, તેમ છતાં તેમણે સામૂહિક અભિપ્રાયનું પાલન કરવું જોઈએ. પોતાના એ અલગ અભિપ્રાયનો જે મોકો અને સ્થળ છે તેનાથી હટીને કોઈ બીજી જગ્યાએ અને તેમાંય ખાસ કરીને જાહેરમાં અલગ વલણ વ્યકત કરવાથી બચવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે શરીઅતની પ્રકૃતિને જાણનાર, વિદ્વાન મૌલાના નદવીથી અમે આશા રાખીએ છીએ કે તેઓ પોતાના અભિપ્રાય ઉપર પુનઃવિચાર કરી મિલ્લતની સામૂહિકતામાં સામેલ થઈ જશે.

તેમણે એકઅન્ય મહત્ત્વની બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે હાલમાં સોશ્યલ મીડિયા પર એવી વાતો ફેલાવાઈ રહી છે કે જે મિલ્લતની આદરણીય પ્રતિભાઓ અને સામૂહિક સંગઠનોના મોભાને હાનિ પહોંચાડનારી છે, જે ખૂબ જ ખોટી અને અનિચ્છનીય છે. દરેક સંજોગોમાં તેનાથી બચવું જોઈએ. મિલ્લતમાં વેર-વિખેરપણું ને છિન્ન-ભિન્નતા પેદા કરતા સમાચારો તથા અફવાહોને હરગિઝ ફેલાવા ન દો. મિલ્લતની મહાનતા અને એકતાને કોઈપણ પ્રભાવિત થવાથી બચાવવામાં આવે. આ હાલનો સૌથી મહત્ત્વનો તકાદો છે. એ પ્રસંગે વિવિધ આલિમો અને સંસ્થાઓના જવાબદારો મૌજૂદ હતા.
આજે જ્યારે સમગ્ર દેશમાં મિલ્લતના કેટલાક પ્રશનોને લઈ મુસ્લિમો તથા ઇસ્લામ વિરોધી પરિબળો તેમને હાનિ પહોંચાડવા તથા એકતાને છિન્ન-ભિન્ન કરવા પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે ત્યારે આ વાત ખૂબજ મહત્ત્વની છે અને તમામે તમામ લોકોે આ દિશામાં ગંભીરતાથી વિચારવાની તાતી જરૃરત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version